નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે covid-19 રોગીઓની તપાસ માટે સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટરે બે જૂનના રોજ બહાર પાડેલ આદેશ અનુસાર કોરોનાની તપાસ માટે સંશોધિત ગાઈડલાઈન એવા દર્દી માટે જેમનામાં વાયરસના લક્ષણ જોવા મળી રહ્યા છે.


આ લોકોની થશે તપાસ

દિલ્હીમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં ભારે વધારો જોવા મળ્યો છે. સતત હજારથી વધારે કેસ દિલ્હીમાં આવી રહ્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. તેને જોતા દિલ્હી સરકારે તપાસ માટે નક્કી નીતિમાં ફેરફાર કર્યા છે.

નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, હવે માત્ર એવા લોકોના જ ટેસ્ટ કરવામાં આવશે જે છેલ્લા 14 દિવસોમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસથી પરત ફર્યા હોય અથવા તેમનામાં બીમારીના લક્ષણ હોય. તેની સાથે જ લેબ ટેસ્ટમાં સંક્રમિત કેસના સંપર્કમાં આવનાર લોકોમાં લક્ષણ દેખાય તો તેમના પણ ટેસ્ટ કરવામાં આવે.

ઉપરાંત સ્વાસ્થ્યકર્મીઓની તપાસ માટે પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. તે અનુસાર કોરોના કન્ટેનમેન્ટ ઝોનમાં કામ કરનાર ફ્રન્ટલાઈન વર્ક્રસમાંથી જેમનામાં પણ લક્ષણ જોવા મળશે તેમની પણ તપાસ થશે.

શ્વાસ સંબંધિત દર્દીની પણ થશે તપાસ

સંશોધિત ગાઇડલાઈનમાં શ્વાસ સંબંધિત બીમારીથી પીડિત દર્દીની તપાસને પણ સામલે કરવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય અનેક પ્રકારના દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હીમાં કોવિડ-19ના મૃતકોની સંખ્યા 650 સુધી પહોંચી છે જ્યારે સંક્રમિત દર્દીની કુલ સંખ્યા 25,004એ પહોંચી છે.