નવી દિલ્હી: દિલ્હીમાં પોલીસ અને વકીલો વચ્ચે તીસ હજારી કોર્ટમાં થયેલી હિંસક ઝડપનો મુદ્દો શાંત થયો છે. આશરે 11 કલાક બાદ દિલ્હી પોલીસના ધરણા-પ્રદર્શન ખતમ થયા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ દાવો કર્યો છે કે પ્રદર્શનકારી પોલીસકર્મીઓની માંગ સ્વીકારાઈ છે.


આ પહેલા સવારે પોલીસ કમિશ્નરે પ્રદર્શનકારીઓને મનાવવાની કોશિશ કરી હતી પરંતુ પ્રદર્શનકારીઓએ ધરણા ખતમ નહોતા કર્યા. ત્યારબાદ ધણા વરિષ્ઠ અધિકારીઓ પોલીસકર્મીઓ વચ્ચે આવ્યા હતા.

મંગળવાર સવારથી જ દિલ્હી પોલીસ મુખ્યાલયની બહાર પોલીસ પ્રદર્શન કરીને વકીલો સામે એક્શનની માંગણી કરી રહ્યા હતા. મુખ્યાલયની બહાર સેંકડોની સંખ્યામાં પોલીસ જવાનો ભેગા થયા અને ‘કાલા કોટ હાય-હાય’ના નારા લગાવી રહ્યા હતા. પોલીસ કમિશ્નરે જવાનોને પ્રદર્શન પાછું લેવા કહ્યું છે પણ જવાનોએ માનવાની ના પાડી દીધી છે. દિલ્હી પોલીસના મુખ્યાલયમાં કમિશ્નર, અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ મામલે ગૃહ મંત્રાલયે દિલ્હી હાઇકોર્ટ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું છે. મંત્રાલયે હાઇકોર્ટને વકીલો ઉપર કાર્યવાહી ન કરવાના આદેશ ઉપર સ્પષ્ટતા આપવા માટે કહ્યું છે.

સતીશ ગોલચા સ્પેશ્યલ કમિશ્નર ક્રાઇમે કહ્યું હતું કે ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓની સારામાં સારી સારવાર કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને ન્યૂનતમ 25 હજાર રૂપિયા સહાય આપવામાં આવશે. આ જાહેરાત પછી તેમણે અપીલ કરી હતી કે પ્રદર્શન કરી રહેલા બધા પોલીસકર્મી અનુશાસનનું પાલન કરતા પ્રદર્શન ખતમ કરે.