દેશની રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.  હવે દિલ્હી સરકારે લોકડાઉન (Lockdown)દૂર કરવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા 31 મેથી તબક્કાવાર રીતે શરૂ થશે. 


કન્સ્ટ્રક્શનની ગતિવિધિઓ અને ફેક્ટરીઓ ખોલવાનો આદેશ


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  જણાવ્યું કે એલજીની અધ્યક્ષતામાં લોકડાઉન ખોલવા અંગે બેઠક થઈ હતી. દિલ્હીમાં 31મી મેથી નિર્માણ ગતિવિધિઓની બહાલી અને કારખાનાઓને ફરીથી ખોલવા માટે મંજૂરી અપાશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં સંક્રમણ દર ઘટીને 1.5 ટકા થયો છે. પરંતુ વાયરસ વિરુદ્ધ હજુ પણ લડાઈ ખતમ થઈ નથી.


આર્થિક ગતિવિધિઓને શરૂ કરવી જરૂરી


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'કરોડો લોકોની મહેનતનું પરિણામ છે કે દિલ્હીમાં હવે કોરોનાવાયરસ (Corona virus) ના કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. હવે ધીરે- ધીરે અનલોક કરવાનો સમય છે.' તેમણે વધુમાં કહ્યું કે 'એવું ન બને કે કોરોનાથી લોકો બચી જાય, અને ભૂખમરાથી મરી જાય. આથી હવે આર્થિક ગતિવિધિઓ શરૂ કરવી જરૂરી છે.'


દિલ્હીમાં નબળી પડવા લાગી કોરોનાની બીજી લહેર


દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1072 નવા કેસ નોંધાયા છે. જ્યારે 117 લોકોના મોત થયા છે. 30 માર્ચ બાદ એક દિવસમાં આ સૌથી ઓછા મામલા નોંધાયા છે. જ્યારે 15 એપ્રિલ બાદ સૌથી ઓછો મોતનો આંકડો છે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં 30 માર્ચના રોજ 992 કેસ નોંધાયા હતા. જ્યારે 15 એપ્રિલના રોજ 112 લોકોના કોરોનાથી મોત થયા હતા. દિલ્હીમાં સંક્રમણ દર ઘટીને 1.53 ટકા થયો છે. જે 24 માર્ચ બાદ સૌથી ઓછો છે. 24 માર્ચના રોજ દિલ્હીમાં સંક્રમણ દર 1.52 ટકા હતો. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,86,364 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3660 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,59,459 લોકો ઠીક પણ થયા છે.   



  • કુલ કેસ-  બે કરોડ 75 લાખ 55 હજાર 457

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 48 લાખ 93 હજાર 410

  • કુલ એક્ટિવ કેસ - 23 લાખ 43 હજાર 152

  • કુલ મોત - 3 લાખ 18 હજાર 895