Dharmendra Pradhan Resignation Accepted: NEET-UG પેપર લીકના ગંભીર વિવાદ અને દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો વચ્ચે એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જેનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર તાત્કાલિક અસરથી સ્વીકાર કરી લીધો છે. આ સાથે જ મોદી સરકારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને તેમના હાલના વિભાગોની સાથે શિક્ષણ મંત્રાલયની પણ વધારાની જવાબદારી સોંપી દીધી છે. બીજી તરફ, કેન્દ્ર સરકાર દ્વારા તમામ મુખ્ય શરતો સ્વીકારી લેવામાં આવ્યા બાદ, છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) એ શનિવારે 25 જુલાઈ, 2026 ના રોજ આ વિવાદ પર પોતાના આંદોલનનો અંત લાવવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
CJP ની કઈ કઈ માંગણીઓ સરકારે સ્વીકારી?
NEET પેપર લીકના વિરોધમાં આંદોલન ચલાવી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) એ સરકાર સમક્ષ કેટલીક કડક શરતો રાખી હતી. આ માંગણીઓમાં મુખ્યત્વે:
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું.
NEET વિવાદના કારણે માનસિક તાણ હેઠળ આવીને આત્મહત્યા કરનારા તમામ ઉમેદવારોના પરિવારોને ₹1 કરોડનું આર્થિક વળતર.
20 માર્ચે સંગઠનની 'સાંસદ ચલો' માર્ચ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા આંદોલનકારીઓ સામે દાખલ કરાયેલી તમામ FIR રદ્દ કરીને પાછી ખેંચવી.
કેન્દ્ર સરકારે આ તમામ માંગણીઓ પર સકારાત્મક વલણ દાખવીને તેનો ઉકેલ લાવવાની ખાતરી આપતા આંદોલનકારીઓએ પોતાના ધરણાં સમેટી લીધા છે.
આ પણ વાંચોઃ જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
રાષ્ટ્રપતિ ભવનનું સત્તાવાર જાહેરનામું
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાષ્ટ્રપતિ ભવન દ્વારા એક સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય બંધારણની કલમ 75 ની પેટાકલમ (2) હેઠળ રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિ દ્વારા વિધિવત મંજૂરી મળ્યા બાદ હવે ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્ય રહ્યા નથી.
પ્રહલાદ જોશી સંભાળશે શિક્ષણ મંત્રાલયની કમાન
વડાપ્રધાનની ભલામણ પર રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો છે કે કેબિનેટ મંત્રી પ્રહલાદ જોશી પોતાના વર્તમાન પોર્ટફોલિયોની સાથે શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર પણ સંભાળશે. આગામી આદેશ ન આવે ત્યાં સુધી પ્રહલાદ જોશી જ શિક્ષણ મંત્રાલયનું સંપૂર્ણ કામકાજ અને દેખરેખ સંભાળશે.
આ પણ વાંચોઃ PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામા પત્રમાં શું લખ્યું?
દેશભરમાં વધી રહેલા આક્રોશ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે વહેલી સવારે જ પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. તેમણે પોતાના રાજીનામા પત્રમાં સ્પષ્ટતા કરતા લખ્યું હતું કે, તેઓ લાખો વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની "મૂંઝવણના જાળમાં ફસાઈ ન જાય" તે માટે સ્વેચ્છાએ પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે.
