દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે આશરે 90 હજાર કેસ સામે આવ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. છત્તીસગઢમાં કોરોના વાયરસની બીજી લહેર ધાતક સાબિત થઈ રહી છે. અહીં દુર્ગ જિલ્લામાં તો કોરોના અત્યાર સુધીમાં તો કાબૂ બહાર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવી રાખ્યો છે. પરિસ્થિતિ એટલી બધી ભયંકર બની ગઈ છે કે સ્મશાનમાં મૃતદેહ માટે જગ્યા ઘટે છે. દુર્ગમાં કોરોનાથી મોતનો  આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આજ કારણે સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે જગ્યા ઘટે છે. 
 
છત્તીસગઢમાં સરકારે બેકાબૂ કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા પ્રશાસન તરફથી સંભવ દરેક કોશિશ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્થિતિ હાલ નિયંત્રણ બહાર છે. દુર્ગ જિલ્લા હોસ્પિટલની ભયાનક તસવીરો સામે આવી છે. ગંભીર  દર્દીઓને હોસ્પિટલમાં ઓક્સીજનના બેડ નથી મળી રહ્યા અને દરરોજ થતા મોતના કારણે મોર્ચરીના ફ્રિઝરમાં મૃતદેહ રાખવાની જગ્યા નથી. અહીં કુલ 22 મૃતદેહ કોરોના સંદિગ્ધ દર્દીઓના રૂમમાં રાખવામાં આવ્યા છે. જેમાં 8 મૃતદેહ ફ્રિઝર અને બાકીના 14 મૃતદેહ ખુલ્લામાં રાખવામાં આવ્યા છે. 


દુર્ગ જિલ્લામાં પ્રશાસને સંપૂર્ણ લોકડાઉનનો આદેશ જાહેર કર્યો છે. 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી દુર્ગ જિલ્લામાં લોકડાઉન રહેશ. જ્યારે બેમેતરા જિલ્લાના શહેરી વિસ્તારમાં બપોરે બે વાગ્યા બાદ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. છત્તીસગઢમાં ઘણા જિલ્લાઓમાં સાપ્તાહિક બજારો ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. જેની વચ્ચે સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. પ્રદેશના 20 જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યું છે. 


દેશમાં કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) ફરી વળી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં સ્થિતિ વધારે ખરાબ છે. દેશમાં 24 માર્ચથી રોજના 50 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના (Union Health Ministry) તાજા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 89 હજારથી વધુ કેસ અને 714 લોકોના મોત થયા છે.



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ



સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 83,129 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 714 લોકોના મોત થયા છે. જોકે 40,202 લોકો ઠીક પણ થયા છે. આ પહેલા 10 ઓક્ટોબરના રોજ 74,383  કેસ આવ્યા હતા.