નવી દિલ્હીઃ પૂર્વોત્તર ભારતમાં આજે સવારે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપ આસામ, મેઘાલય, ઉત્તર બંગાળમાં આવ્યો છે. આસામના સોનિતપુરમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી છે. જ્યારે 7.51 કલાકે પ્રથમ ઝટકો અનુભવાયો હતો. જે બાદ એક પછી એક પાંચ વખત ઝટકા અનુભવાયા હતા. હાલ કોઈ વ્યક્તિના જાન હાનીના સમાચાર નથી.


મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું, આસામમાં ભૂકંપ આવ્યો છે. હું તમામ સાથે સતર્ક રહેવાનો આગ્રહ કરું છું. હું તમામ જિલ્લાથી અપડેટ લઈ રહ્યો છું. આસામના સ્વાસ્થ્ય મંત્રી હિંમતા બિસ્વા સરમાએ ભૂકંપની કેટલીક તસવીરો શેર કરી છે.



ભૂકંપ બાદ થયેલા નુકસાનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ગુવાહાટી શહેરમાં સૌથી વધારે નુકસાન નોંધાયું છે. અનેક જગ્યાએ દીવાલો ધસી પડી છે અને બારીઓ તૂટી ગઈ છે. આસામના અનેક વિસ્તારોમાં ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ ઘાયલ થયું હોય તેવા સમાચાર સામે નથી આવ્યા.



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે વાત કરી હતી. આસામના મુખ્યમંત્રીએ ટ્વીટરના માધ્યમથી સૌ કુશળ મંગળ હશે તેવી કામના કરી હતી અને લોકોને સાવધાન રહેવાની સૂચના આપી હતી.