ચૂંટણી પંચે દેશમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ચૂંટણી પ્રચાર અંગે રાજકીય પક્ષોનો માંગ્યો અભિપ્રાય, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jul 2020 11:38 AM (IST)
ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને 31 જુલાઈ સુધી તેમના સૂચન મોકલી આપવા વિનંતી કરી છે.
નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. રોજબરોજ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન ચૂંટણી પંચે દેશમાં કોવિડ મહામારીને ધ્યાનમાં રાખી રાજકીય પક્ષો પાસે ચૂંટણી અને જનસભાને લઈ અભિપ્રાય માંગ્યો છે. ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને 31 જુલાઈ સુધી તેમના સૂચન મોકલી આપવા વિનંતી કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે, ચાલુ વર્ષે બિહારમાં વિધાનસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોમાં પેટા ચૂંટણી થવાની છે. મહામારીની વર્તમાન સ્થિતિને જોતાં કોવિડ સંક્રમણને રોકવા અને લોકોની સુરક્ષાને લઈ કેન્દ્ર તથા રાજ્ય સરકારે અનેક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ચૂંટણી પંચે પત્રમાં લખ્યું છે કે, રાજકીય પાર્ટીના વિચાર અને સૂચનના આધારે ઉમેદવારોના પ્રચાર અભિયાન તથા ચૂંટણી પ્રક્રિયા પર દિશા નિર્દેશ તૈયાર કરાશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,38,716 પર પહોંચી છે અને 26,273 લોકોના મોત થયા છે. 6,53,751 લોકો સાજા થઈ ગયા છે અને 3,58,692 એક્ટિવ કેસ છે.