ભોપાલ: મધ્યપ્રદેશમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ચાલી રહેલા પ્રચાર વચ્ચે કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનું સ્ટાર પ્રચારકનું સ્ટેટસ રદ્દ કર્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે કમલનાથ દ્વારા હવેથી કોઈ પણ કેમ્પેઈન કરવામાં આવશે તો સંપૂર્ણ ખર્ચ તે ઉમેદવાર પાસેથી લેવામાં આવશે જેમના ક્ષેત્રમાં અભિયાન ચલાવવામાં આવશે.




ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ઈમરતી દેવી સામે આઈટમ શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ મામલે ચૂંટણી પંચે સંજ્ઞાન લેતા કહ્યું આ પ્રકારના શબ્દોના ઉપયોગથી બચવું જોઈએ. મધ્યપ્રદેશ વિધાનસભાની 28 બેઠકો પર ત્રણ નવેમ્બરને પેટા ચૂંટણી યોજાવાની છે.

ચૂંટણી પંચે આજે કહ્યું કે કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને કમલનાથ વિરૂદ્ધ કૈલાશ વિજયવર્ગીય દ્વારા આપવામાં આવેલી ચુન્નુ-મુન્નૂ ટીપ્પણી, ચૂંટણી સંહિતાનું ઉલ્લંઘન છે. આ સાથે જ આયોગે ભાજપના વરિષ્ઠ નેતાઓને આચાર સંહિતા દરમિયાન સાર્વજનિક રીતે આ પ્રકારના શબ્દોના ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

આયોગે 26 ઓક્ટોબરે ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયને એક નોટિસ જાહેર કરી હતી અને જવાબ આપવા માટે કહ્યું હતું. નોટિસ અનુસાર ઈન્દોરના સાંવેરમાં 14 ઓક્ટોબરે એક ચૂંટણી રેલીમાં બંને કૉંગ્રેસ નેતાઓ સામે આપવામાં આવેલા નિવેદનને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનારૂ ગણાવ્યું હતું.