નવી દિલ્હીઃ  દેશભરમાં કોરોના મહામારીના કેર વચ્ચે આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં ભાજપની નજર વધુ રાજ્યોમાં તેનું શાસન ફેલાવવા પર છે.


કેરળમાં સૌની નજર પલ્લકડ બેઠક પર છે. આ બેઠક પર ભાજપે મેટ્રોમેન તરીકે જાણીતા ઈ શ્રીધરનને ટિકિટ આપી છે. હાલ તેઓ આ બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે.


ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ, કેરળ 140 બેઠક પૈકી 139 બેઠકના વલણ સામે આવ્યા છે. જેમાંથી 3 પર ભાજપ, 15 પર સીપીઆઈ, 56 પર સીપીઆઈ(એમ), 24 પર કોંગ્રેસ, આઈયુએમએલ 13 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.



પાંચ રાજ્યોમાં કેટલા બૂથ પર થશે મત ગણતરી


ચૂંટણી પંચે મતગણતરી કેન્દ્રો પર કોરોના માર્ગદર્શિકાઓના પાલનની પૂરી ખાતરી રાખી છે. પાંચ રાજ્યોની કુલ ૮૨૨ વિધાનસભા બેઠકોમાં મતગણતરી માટે ૨,૩૬૪ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જે ૨૦૧૬માં ૧,૦૦૨ની સરખામણીમાં બમણાથી વધુ છે. દરેક મતગણતરી કેન્દ્ર પર સેનિટાઈઝેશનના ૧૫ રાઉન્ડ કરવામાં આવશે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જેવા નિયમોનું કડકાઈથી પાલન કરાશે.


એક્ઝિટ પોલમાં શું થઈ આગાહી


દેશમાં વિવિધ એક્ઝિટ પોલે આગાહી કરી છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે. જોકે, કેટલાક સર્વે મુજબ મમતા બેનરજી બંગાળમાં સત્તા જાળવી રાખશે અને ભાજપ બીજા નંબરના પક્ષ તરીકે ઊભરી આવશે. આસામમાં ભાજપનું શાસન યથાવત્ રહેશે જ્યારે કેરળમાં ડાબેરી જોડાણ જીતી જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એક્ઝિટ પોલ મુજબ આસામ અને કેરળમાં કોંગ્રેસનો પનો થોડોક ટૂંકો પડશે જ્યારે પુડુચેરીમાં તે સત્તા ગુમાવે તેવી સંભાવના છે. કોંગ્રેસ માટે એકમાત્ર સારા સમાચાર તામિલનાડુમાંથી મળે છે, જ્યાં ડીએમકેના નેતૃત્વમાં વિપક્ષી જોડાણના વિજયની આગાહી કરવામાં આવી છે. અહીં ભાજપે શાસક અન્નાદ્રમુક સાથે જોડાણ કર્યું છે.