ESICએ પગાર મર્યાદા વધારીને 21,000 રૂપિયા કરી, 50 લાખ નવા કર્મચારી જોડાશે
abpasmita.in | 07 Sep 2016 08:48 AM (IST)
નવી દિલ્હીઃ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી)એ પોતાની સ્વાસ્થ્ય વીમા યોજના માટે માસિક પગાર મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત હવે 21 હજાર રપિયા પગાર મેળવતા કર્મચારીઓને ઈએસઆઈસીની સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત લાભ મળશે. હાલમાં ઈએસઆઈસીની સ્વાસ્થ્ય વીમા યોજના નો લાભ લેવા માટેની મર્યાદા 15 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. કિંમતમાં વધારો અને પગાર વધારાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. પગાર મર્યાદા વધવાને કારણે 50 લાખ વધારાના સભ્યો ઈએસઆઈસીનો લાભ લઈ શકશે. જો એક પરિવારમાં ચાર સભ્યો હોય તો તેનાથી બે કરોડ લોકોને લાભ થવાની સંભાવના છે. હાલમાં ઈએસઆઈસીની યોજનામાં 2.6 કરોડ લોકો છે. જો એક પરિવારમાં ચાર સભ્ય હોય તો કુલ મળીને 10 કરોડ લોકોને તેની અંતર્ગત આવી જશે. ઉલ્લેખનીય છેકે, હાલમાં જ સરકારે અકૂશળ બિનકૃષિ કામદારો માટે ઓછામાં ઓછો મજૂરી દર 42 ટકા વધારીને 350 રૂપિયા પ્રતિ દિવસ કર્યો હતો. પહેલા આ મજૂરી 246 રપિયા હતી. ઈએસઆઈસીએ સરકાર દ્વારા ઓછામાં ઓછો પગાર વધારાને ધ્યાનમાં રાખતા પોતાની અંતર્ગત આવતી પગાર મર્યાદા 40 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. ઈએસઆઈસીના ડાયરેક્ટર ગ્રુપની બેઠકમાં હાલના વીમા ધરાવતા એવા વ્યક્તિઓનું સભ્યપદ જાળવી રાખવાનો વિકલ્પ આપવાનો પણ નિર્ણય કર્યો છે જેનો પગાર મર્યાદાથી વધારે થઈ ગયો છે. નિર્ણય એક ઓક્ટોબરથી લાગુ થશે. અહીં ઈએસઆઈસી ડાયરેક્ટરની ગ્રુપની બેઠક બાદ શ્રમ પ્રધાન બંડારુ દત્તાત્રેયને કહ્યું, ઈએસઆઈસીએ પગાર મર્યાદા 15 હજાર રૂપિયાથી વધારીને 21 હજાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રમ પ્રધાન ઈએસઆઈસી બોર્ડના ચેરમેન છે. હવે જે કર્મચારીઓનો માસિક પગાર 21 હજાર રૂપિયા છે તે ઈએસઆઈસીના સ્વાસ્થ્ય વીમાનો લાભ લઈ શકશે.