નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવારનવાર કોઇને કોઇ મેસેજ વાયરલ થતાં હોય છે. જેમાં અમુક પાયા વિહોણા હોય છે. આવો જ એક રિપોર્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે મોદી સરકારે દેશમાં કોરોના વકરતાં 31 જાન્યુઆરી, 2021 સુધી સંપૂર્ણ લોકડાઉન નાંખી દીધું છે. જોકે પીઆઈબી ફેક્ટ ચેકે આ રિપોર્ટ બોગસ હોવાનું જણાવ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે ભારત સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.




દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,052 નવા કેસ નોંધાયા છે અને 127 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,07,46,183 પર પહોચી છે. જેમાંથી 1,04,23,125 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,54,274 થયો છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,68,784 છે.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.