નવી દિલ્હીઃ દેશના જાણીતા વકીલ અને નેતા રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયતી રામ જેઠમલાણી પથારીવશ હતા. રામ જેઠમલાણી જાણીતા વકીલ અને આરજેડીના રાજ્યસભા સાંસદ પણ હતા. જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન મોદી સહિત દિલ્હીના મુખ્યમંત્રી, સુબ્રમણ્યમ સ્વામી અને અનેક નેતાઓએ દુખ વ્યક્ત કર્યું હતું.


રામ જેઠમલાણી અને બીજેપી સંબંધો.....
હાલના ગૃહમંત્રી અમિત શાહનો સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ રામ જેઠમલાણી લડ્યા હતા, અને અંતે અમિત શાહને જેલમાંથી બહાર કઢાવ્યા હતા. 2 ઓગસ્ટ 2010ના રોજ અમિત શાહના કેસમાં ગુજરાત આવ્યા અને બાદમાં કેસની પેરવી કરી હતી. આ કેસમાં અમિત શાહની સીબીઆઇએ ધરપકડ કરી હતી.



23 જુલાઈ 2010ના રોજ અમિત શાહ સામે આરોપનામુ દાખલ કરાયુ હતુ અને બાદમાં 25 જુલાઇએ 2010ના દિવસે અમિત શાહની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા. બાદમાં અમિત શાહને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રામ જેઠમલાણીએ અમિત શાહનો કેસ લડ્યો અને ગુજરાત આવીને જમીન પણ અપાવ્યા હતા.



વડાપ્રધાન મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, રામ જેઠમલાણીજીના નિધનથી ભારતના એક અસાધારણ વકીલ અને પ્રતિષ્ઠિત સાર્વજનિક વ્યક્તિ ગુમાવી દીધાં છે. રામ જેઠમલાણીએ ન્યાયાલય અને સંસદ બન્નેમાં સમૃદ્ધ યોગદાન આપ્યું છે. તેઓ મજાકિયા, સાહસી અને ગમે ત્યારે કોઈ પણ વિષય પર સાહસપૂર્વક બોલવામાં સંકોચ રાખતા નહોતા.

ઉલ્લેખનીય છે જેઠમલાણીએ આજથી બે વર્ષ પહેલા વકિલાત છોડી દીધી હતી. રામ જેઠમલાણીના નામ એક ખાસ રેકોર્ડ પણ નોંધાયેલો છે. તેમણે 17 વર્ષની ઉંમરમાં વકીલાતની પરિક્ષા પાસ કરી લીધી હતી. તેમણે કોર્ટની વિશેષ મંજૂરી બાદ 18 વર્ષની ઉંમરમાં જ વકીલાત શરૂ કરી દીધી હતી.