નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં સવા બે મહિનાથી દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓએ કેન્દ્ર સરકારને કહ્યું કે,અમે વાતચીત માટે તૈયાર છે,  સરકાર તારીખ અને સમય નક્કી કરે. આ પહેલા વડાપ્રધાન મોદીએ સોમવારે રાજ્યસભામાં સંબોધન દરમિયાન ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી હતી અને વાતચીત માટે આમંત્રણ આપ્યા બાદ ખેડૂત નેતાઓ વાત કહી છે.


સંયુક્ત કિસાન મોર્ચાના વરિષ્ઠ સભ્ય કિસાન નેતા શિવ કુમાર કાકાએ કહ્યું કે, તેઓ આગામી તબક્કા માટે વાતચીત કરવા માટે તૈયાર છે અને સરકાર તારીખ અને સમય જણાવે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈને શિવકુમાર કાકાએ કહ્યું હતું કે, અમે સરકાર સાથે વાતચીત કરવાનો ક્યારેય ઈનકાર નથી કર્યો હતો. જ્યારે પણ વાતચીત માટે બોલાવ્યા અમે કેન્દ્રીય મંત્રીઓ સાથે વાતચીત કરી છે. અમે તેમની સાથે વાત કરવા તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, કૃષિ કાયદાને લઈ સરકાર અને ખેડૂતો વચ્ચે 11 તબક્કાની વાતચીત થઈ ચુકી છે. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂતો ત્રણેય કાયદા રદ કરવાની માંગ પર અડગ છે અને એમએસપી પર કાયદો બનાવવાની માંગ કરી રહ્યાં છે.



પીએમ મોદીએ આજે રાજ્યસભામાં કહ્યું હતું કે, કોઈ ખામી હોય તો તેને સુધારીશું. હું વિશ્વાસ અપાવું છું કે, માર્કેટને વધુ આધુનિક બનાવાશે. MSP છે, MSP હતું અને MSP રહેશે.

દરેક કાયદામાં સારા સૂચનો બાદ ફેરફાર થાય છે. તેથી સારું કરવા માટે સારા સૂચનો સાથે, સારા સુધારા કરવાની તૈયારી સાથે આપણે આગળ વધવું પડશે. હું આપ સૌને નિમંત્રણ આપું છું કે, આપણે દેશને આગળ લઈ જવા માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે આંદોલનકારીઓને સમજાવીને દેશને આગળ લઈ જવું પડશે.


તેના બાદ રાકેશ ટિકૈતે કહ્યું કે, જો પીએમ મોદી વાતચીત કરવા માંગે છે તો અમારી કમિટી વાતચીત માટે તૈયાર છે. અમારી પંચ પણ ત્યાં છે અને અમારું મંચ પણ. MSP પર કાયદો બને તે ખેડૂતો માટે ફાયદાકારક રહેશે.