નવા ત્રણ કૃષિ કાયદાને પરત લેવા માટે દિલ્લીની જુદી જુદી બોર્ડર પર ખેડૂતો 73 દિવસથી આંદોલન કરી રહ્યાં છે. આ દરમિયાન દિલ્લી-હરિયાણા બોર્ડર પર ગત રાત્રે એક ખેડૂતે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો. મરનાર મૃતક  કર્મવીરે સુસાઇડ નોટમાં કેન્દ્ર સરકારના ખરાબ વલણનો ઉલ્લેખ કર્યો છે.


સુસાઇડ નોટમાં શું લખ્યું?

કર્મવીરે સુસાઇડ નોટમાં લખ્યું, “ભારતીય ખેડૂત યુનિયન જિંદાબાદ, ખેડૂત મિત્રો, આ મોદી સરકાર તારીખ પર તારીખ આપી રહી છે. તેનો કોઇ ભરોસો નથી કે, ક્યારે આ કાળા કૃષિ કાયદાને રદ્દ કરશે. જ્યાં સુધી આ કાળો કૃષિ કાયદો રદ્દ નહી થાય ત્યાં સુધી આપણે અહીંથી જ લડ્યા કરીશું.

કર્મવીર હરિયાણાના જિંદ જિલ્લાના સિંધવાલ ગામનો રહેનાર છે. ગત રાત્રે તે ટીકરી બોર્ડર પહોંચ્યો હતો. કર્મવીરને ત્રણ દીકરીઓ છે. જેમાંથી એકના લગ્ન થઇ ગયા છે. હાલ ખેડૂતનો મૃતદેહ ઉતારીને તેને પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયો છે.



થોડા દિવસ પહેલા જ ટિકરી બોર્ડર પર જય ભગવાન નામના ખેડૂતે ઝેર પી લીધું હતું. ખેડૂતની ગંભીર હાલતના કારણે તેને સંજય ગાંઘી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઇ ગયું, જય ભગવાને પણ ઝેર પીતાં પહેલા દેશવાસિઓ પહેલા પત્ર લખ્યો હતો.