Farmers Protest: લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર કાયદેસરની ગેરન્ટીની માંગ સાથે આઠ દિવસથી શંભૂ અને દાતાસિંહ વાલા બોર્ડર પર ઉભા રહેલા ખેડૂતોએ બુધવારે સવારે દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં હરિયાણા પોલીસ અને અર્ધલશ્કરી દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા અને રબરની ગોળીઓ પણ છોડી હતી.  દાતાસિંહવાલા બોર્ડર પર ગોળીઓથી બે ખેડૂતો ઘાયલ થયા હતા, જેમાંથી ભટિંડાના બલોંકે ગામના યુવક શુભકરણ (23)નું મૃત્યુ થયું હતું. સંગરુરના નવાગાંવના અન્ય એક ખેડૂત પ્રીતપાલ સિંહને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે.


21 વર્ષીય ખેડૂતનું મોત 


પંજાબ અને હરિયાણાના ખેડૂતો MSP અને અન્ય માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હરિયાણા બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો દાવો છે કે બુધવારે પોલીસ સાથેની અથડામણ દરમિયાન 21 વર્ષીય ખેડૂતનું મોત થયું હતું. જોકે, પોલીસે આ દાવાને અફવા ગણાવીને ફગાવી દીધી છે. દરમિયાન, ખેડૂત સંગઠનોએ આગામી બે દિવસ ગુરુવાર અને શુક્રવાર માટે દિલ્હી તરફની તેમની કૂચ મોકૂફ રાખી છે. શુક્રવારે સાંજે ખેડૂત સંગઠનોની બેઠકમાં આગળની રણનીતિ અંગે નિર્ણય લેવામાં આવશે.


ખેડૂતોનો દાવો છે કે શુભકરણનું મોત રબરની ગોળી માથામાં વાગવાને કારણે થયું હતું. અથડામણમાં 52 ખેડૂતો અને 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. શંભુ બોર્ડર પર છ ખેડૂતો ઘાયલ પણ થયા છે. બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ફરીથી ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. કેન્દ્રના પ્રસ્તાવ પર ખેડૂત નેતાઓએ તેમની દિલ્હી કૂચ બે દિવસ માટે મોકૂફ રાખી છે. ખેડૂત નેતા સરવણ સિંહ પંધેરે કહ્યું કે તેઓ શુક્રવારે સાંજે વધુ વ્યૂહરચના જાહેર કરશે.


બુધવારે બપોરે લગભગ 1 વાગ્યે દાતાસિંહવાલા બોર્ડર પર આંદોલને હિંસક વળાંક લીધો હતો. જીંદના પોલીસ અધિક્ષક સુમિત કુમારે જણાવ્યું હતું કે પંજાબના ખેડૂતો બુલડોઝરની મદદથી સરહદ પરના બેરિકેડ્સને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે તેમને રોકવામાં આવ્યા હતા. ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ, વોટર કેનન અને લાઠીચાર્જનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. આ ઉપરાંત અનેક ખેડૂતોએ પોલીસ પર તલવારો અને ધોકા વડે હુમલો પણ કર્યો હતો. ખેડૂતો સાંજના 5 વાગ્યા સુધી અનેકવાર બેરિકેડીંગ પાસે આવ્યા હતા અને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીયર ગેસના શેલ અને વોટર કેનનને કારણે તેઓએ પીછેહઠ કરવી પડી હતી.


ખેડૂત નેતાઓ પંધેર અને જગજીત સિંહ ડલ્લેવાલે સાંજે શંભુ બોર્ડર પર જાહેરાત કરી હતી કે હવે આવી સ્થિતિમાં સરકાર સાથે વાત કરવી યોગ્ય નથી લાગતી. આ પછી મોટી સંખ્યામાં યુવાનોએ ખેડૂત નેતાઓના નેતૃત્વમાં સરહદ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. હરિયાણા તરફથી ડ્રોન દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જેના કારણે ખેડૂત આગેવાનો પંધેર અને ડલ્લેવાલની તબિયત પણ લથડી હતી.