Farmers To End Protests: ખેડૂત આંદોલન ખત્મ થવાના અણસાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનોને પાંચ મહત્વના પ્રસ્તાવ મોકલ્યા છે. કેન્દ્રએ પોતાના પ્રસ્તાવમાં એમએસપી, કેસ પાછા ખેંચવા અને વિજળી બિલ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારના પ્રસ્તાવ પર ચર્ચા માટે આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠક મળી હતી. સૂત્રોના મતે સરકારના પ્રસ્તાવ પર હરિયાણાના સંગઠન તૈયાર થઇ રહ્યા નથી. પંજાબના 90 ટકા સંગઠન સરકારના પ્રસ્તાવથી સંતુષ્ટ છે.


 સંયુક્ત કિસાન મોરચાની બેઠક બાદ ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે કહ્યું કે સરકારના પ્રસ્તાવ પર ચર્ચા થઇ છે. કેટલાક મુદ્દાઓ પર ખેડૂત નેતાઓએ સ્પષ્ટીકરણની માંગ કરી છે. તેમનો મત સરકારને મોકલવામાં આવશે. આશા છે કે આવતીકાલે સરકાર જવાબ આપશે. ત્યારબાદ આવતીકાલે બે વાગ્યે ફરી બેઠક મળશે. જ્યારે બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે સરકાર સ્પષ્ટ કરે કે એમએસી કમિટીમાં એવા લોકો ના હોવા જોઇએ જે કૃષિ કાયદાઓના સમર્થક હોય. કેસ પાછા ખેંચવા પર આંદોલન ખત્મ કરવાની જાહેરાતની શરત લગાવી દીધી છે. આ શરત માટે અમે તૈયાર નથી. અમે સરકાર સાથે ફરીથી વાત કરીશું.







 સરકારે પ્રસ્તાવમાં કહ્યું કે એમએસપી પર વડાપ્રધાન પોતે અને બાદમાં કૃષિમંત્રીએ એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. આ કમિટીમાં કેન્દ્ર, રાજ્ય સરકાર અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને કૃષિ વૈજ્ઞાનિક સામેલ હશે. અમે તેમાં  સ્પષ્ટતા માંગીએ છીએ કે ખેડૂત પ્રતિનિધિમાં એસકેએમના પ્રતિનિધિ  હશે.


પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જ્યા સુધી આંદોલન સમયના કેસોને  સવાલ છે તો ઉત્તર પ્રદેશ સરકાર અને હરિયાણા સરકાર આ માટે સહમત છે કે આંદોલન સમયના કેસ તરત  જ  પાછા ખેંચી લેવામાં આવશે. ખેડૂત આંદોલન દરમિયાન ભારત સરકારના સંબંધિત વિભાગ અને કેન્દ્રશાસિત પ્રદેશના આંદોલન કેસ પર પણ આંદોલન ખત્મ થયા બાદ કેસ પાછા ખેંચવા પર સહમતિ થઇ છે.



વળતર માટે ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બંન્ને બાબતોમાં પંજાબ સરકારે અગાઉથી જાહેરાત કરી દીધી છે.  કેન્દ્રના પ્રસ્તાવમાં જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટી બિલનો સવાલ છે તો બિલને સંસદમાં રજૂ કરતા અગાઉ તમામ સ્ટોકહોલ્ડર્સના અભિપ્રાય લેવામાં આવશે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી પરાલીનો મુદ્દો છે ભારત સરકારે જે કાયદો બનાવ્યો છે તેની કલમ 14 અને 15માં ક્રિમિનલ લાઇબિલિટીથી ખેડૂતને મુક્તિ આપવામાં આવી છે.