નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે જાહેરાત કરી કે 1 જાન્યુઆરી, 2021થી તમામ વાહનો માટે ફાસ્ટેગને ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે આ યાત્રીકો માટે ઉપયોગી છે કારણ કે રોકડ ચુકવણી, સમય અને ઈંધણની બચત થશે. ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂરીયાત રહેશે નહીં.


કેંદ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર FASTag લગાવવાનું ફરજીયાત કરી દીધું છે. જો તમે 1 જાન્યુઆરીથી કાર કે મોટા વાહનો પર FASTag વગર નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર પહોંચો છો તો તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે.

ફાસ્ટેગની શરૂઆત 2016માં થઈ હતી અને ચાર બેંકોએ એ વર્ષ સામૂહિક રીતે એક લાખ ટેગ જાહેર કર્યા હતા. બાદમાં 2017માં સાત લાખ અને 2018માં 34 લાખ ફાસ્ટેગ જાહેર કરાયા હતા. મંત્રાલયે આ વર્ષે નવેમ્બરમાં સૂચના જાહેર કરી એક જાન્યુઆરી 2021થી જૂના વાહનો અથવા એક ડિસેમ્બર 2017 પહેલાના વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કર્યું છે.

કેંદ્રીય મોટર વાહન નિયમ, 1989 અનુસાર એક ડિસેમ્બર 2017થી નવા ફોર વ્હીલ્સ માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સિવાય વાહનોના ફિટનેસ પ્રમાણપત્ર માટે સંબંધિત વાહનનું ફાસ્ટેગ જરૂરી છે. રાષ્ટ્રીય પરમિટવાળા વાહનો માટે ફાસ્ટેગ એક ઓક્ટોબર 2019થી ફરજિયાત કરવામાં આવ્યું છે.