નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે મંદીમાં સરી પડેલા અર્થતંત્રને બેઠું કરવા સરકારે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. જે અંતર્ગત ગઈકાલે નાણા મંત્રી નિર્મલા સીતારમણે છ લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. આજે તેઓ બીજા તબક્કાના રાહત પેકેજની જાણકારી આપશે. જેના પર બધાની નજર ટકેલી છે.


આજે નાણા મંત્રી કૃષિ સેક્ટર અને તેની સાથે સંકળાયેલી ગતિવિધિઓને લઈ મોટી જાહેરાત કરી શકે છે. ઉપરાંત સપ્લાઈ ચેનને ઠીક કરવા માટે મોદી સરકાર દ્વારા અન્ય રાહતો આપવામાં આવી શકે છે.

બુધવારે સાંજે નાણા મંત્રીએ નાના ઉદ્યોગો માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની ગેરંટી વગરની લોન અને એનબીએફસીને 30,000 કરોડ રૂપિયા સહિત કુલ 6 લાખ કરોડ રૂપિયાની જાહેરાતો કરી હતી. આ ઉપરાંત  નોન સેલરી સિવાયના પેમેન્ટ પરના ટેક્સમાં 25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત થઈ હતી.

કન્સ્ટ્રક્શન કંપનીઓને પ્રોજેક્ટ પૂરા કરવા વધુ છ માસનો સમય આપવામાં આવ્યો હતી. વીજ વિતરણ કંપનીઓને પણ 90 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. એમએસએમઈની વ્યાખ્યા પણ બદલવામાં આવી છે. નાના ઉદ્યોગોને આપવામાં આવતી લોનની મુદત ચાર વર્ષ વર્ષની રહેશે. 12 મહિના સુધી આ લોન પર કોઈ વ્યાજ ચૂકવવું નહીં પડે. આ પેકેજથી 45 લાખ લઘુ ઉદ્યોગોને ફાયદો થશે.