નવી દિલ્હી: કેરલના કાસરગોડ જિલ્લામાં રવિવારે એક રેસ્ટોરન્ટમાંથી શવર્મા ખાવાથી ઓછામાં ઓછા 58 લોકો બીમાર પડ્યા અને એક યુવતીનું ફૂડ પોઈઝનિંગથી મૃત્યુ થયું છે. ફૂડ પોઈઝનિંગ શિંગેલા નામના બેક્ટેરિયાના કારણે થયું હતું. મંગળવારે કાસરગોડ જિલ્લા તબીબી અધિકારી ડૉક્ટર એ.વી. રામદાસને ટાંકીને મીડિયા અહેવાલોમાં જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ફૂડ પોઇઝનિંગ પીડિતોના લોહી અને સ્ટૂલના સેમ્પલનું પરીક્ષણ કર્યા પછી શિંગેલાની હોવાનો ખુલાસો થયો હતો. બેક્ટેરિયાના ચેપના કારણે મૃત્યુ પામેલી છોકરીની ઓળખ દેવાનંદ (16) તરીકે થઈ હતી.


ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ડીએમઓ) એ જણાવ્યું હતું કે અસ્વચ્છ, અધૂરું, અથવા દૂષિત ખોરાક અને પાણી શિંગેલા પાછળનું મૂળ કારણ હોઇ શકે છે.  જેનાથી આંતરડામાં ચેપ લાગે છે. ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર એ.ટી. મનોજને ટાંકીને ધ હિંદુએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગભરાવાની કોઈ વાત નથી, પરંતુ “બેક્ટેરિયાના પ્રકોપને ધ્યાનમાં રાખીને ઘણા લોકોને હોટલમાંથી ભોજન અને પાણી લીધા બાદ ઉલ્ટી, તાવ અને ઝાડા જેવા લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે સિવાય આ પ્રકારના લક્ષણો સાથે આવતા દર્દીઓ પર દેખરેખ રાખવાની હોસ્પિટલોને જાણ કરવામાં આવી છે.


 


આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓ સામાન્ય લોકો અને ઢાબાના માલિકોમાં બેક્ટેરિયા કેવી રીતે ફેલાય છે, ચેપ કેવી રીતે ટાળવો અને તેના નિયંત્રણ માટે શું પગલાં લઈ શકાય તે અંગે જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આરોગ્ય અધિકારીઓ દ્વારા વિવિધ ખાણીપીણી અને રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્થાનિક વોટર સપ્લાયની પણ તપાસ કરવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે બેક્ટેરિયા મુખ્યત્વે દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે અને તેને નિયંત્રિત કરવા માટે સ્વચ્છતા એક મહત્વપૂર્ણ પરિબળ છે. આ ઉપરાંત યોગ્ય રીતે રાંધવાથી બેક્ટેરિયા પણ મરી જાય છે.