નવી દિલ્હી: પાસપોર્ટ પર કમળના ચિન્હનો ઉપયોગ કરવાને લઈ વિપક્ષે કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. વિદેશ મંત્રાલયે તેના પર જવાબ આપતા કહ્યું કે, નકલી પાસપોર્ટની ઓળખ માટે અને સિક્યોરિટી ફીચરને મજબૂત બનાવવાને માટે તેમ કરાયું છે. અન્ય દેશના પ્રતીકોનો પણ એક પછી એક ઉપયોગ કરવામાં આવશે.


કોંગ્રેસ સાંસદ એમ કે રાઘવને કેરળના કોઝિકોડમાં વહેંચવા માટે આવેલા કમળના પ્રિન્ટવાળા પાસપોર્ટનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો હતો. રાઘવને આરોપ લગાવ્યો કે આ સરકારી સંસ્થાઓનું ભગવાકરણ કરવાનો પ્રયાસ છે કેમકે કમળ ભાજપનું ચૂંટણી ચિન્હ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ મુદ્દા પર પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું, આ પ્રતીક આપણું રાષ્ટ્રીય ફૂલ છે નકલી પાસપોર્ટને ઓખળવા માટે અને સુરક્ષાને વધુ મજબુત બનાવવાનું એક પગલુ છે.


તેઓએ કહ્યું કે સિક્યોરિટી ફિચર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના દિશાનિર્દેશ પર રજૂ કરાયા છે. રવીશ કુમારે કહ્યું, કમળ ઉપરાંત એક પછી એક દેશના અન્ય ચિન્હોનો પણ ઉપયોગ કરવામાં આવશે. હાલમાં કમળનું ચિન્હ છે આવતા મહીને અન્ય કોઇ હશે.