નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું સોમવારે નિધન થઇ ગયું છે. છેલ્લા અનેક દિવસોથી જગન્નાથ મિશ્રાની દિલ્હી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 82 વર્ષના જગન્નાથ મિશ્રા ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 1975માં તે પ્રથમવાર બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. બીજી વખત 1980 અને છેલ્લે 1989થી 1990 સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમને 90ના દાયકામાં કેન્દ્રિય કેબિનેટમાં પણ સ્થાન મળ્યું હતું. તેમના નિધન પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શોક વ્યક્ત કર્યો હતો.

જગન્નાથ મિશ્રાએ એક પ્રોફેસરના રૂપમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં બિહાર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર રહ્યા હતા. તેમની રાજનીતિમાં ખૂબ રસ હતો. તેમના મોટાભાઇ લલિત નારાયણ મિશ્રા રેલવે મંત્રી હતા. નોંધનીય છે કે દેવધર ચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદયાદવને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કર્યા હતા.

પૂર્વમાં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસમાં એક ઉચ્ચ સ્તર પર સામેલ થયા બાદ તેમને ત્રણ વખત બિહારના મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા હતા. કોગ્રેસ છોડ્યા બાદ તે રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીમાં સામેલ થયા અને બાદમાં જનતા દળમાં સામેલ થયા હતા.  30 સપ્ટેમ્બર 2013માં રાંચીની એક વિશેષ કોર્ટે તેમને ઘાસચારા કૌભાંડમાં 44 અન્ય લોકો સાથે સજા સંભળાવી હતી. તે સમયે તેમને ચાર વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ કરાયો હતો.