પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ લોકસભાની બેઠકો 1000 કરવા કર્યું સૂચન
abpasmita.in | 17 Dec 2019 09:31 AM (IST)
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભામાં સદસ્યોની સંખ્યા વધારવાનું સુચન કર્યું છે.
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભામાં સદસ્યોની સંખ્યા વધારવાનું સુચન કર્યું છે. મુખર્જીનું માનવું છે કે દેશમાં જનસંખ્યા વધવાની સાથે હવે એક સાંસદ પહેલા કરતા વધારે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જે મુશ્કેલ છે. 2019ની ચૂંટણીના આધારે માનીએ તો આજે દરેક સાંસદ આશરે 16 લાખ મતદારોની પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પ્રણવ મુખર્જીએ કહ્યું કે લોકસભામાં બેઠકોની સંખ્યા વધારીને 1000 કરી દેવી જોઈએ. આ જ રીતે રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવો જોઈએ. હાલમાં લોકસભાની બેઠકોની મંજૂર સંખ્યા 552 છે જ્યારે રાજ્યસભામાં 250 છે. જો સાંસદના સદસ્યોની સંખ્યા વધે છે તો તેમને બેસવા માટેની જગ્યા કયાં હશે? પ્રણવ મુખર્જી પાસે આ પ્રશ્નનો જવાબ પણ છે. તેમણે કહ્યું કે સંસદ ભવનના સેન્ટ્રલ હોલને લોકસભા બનાવી શકાય છે જ્યારે આજની લોકસભાને રાજ્યસભા તરીકે બદલી શકાય છે. આ જ રીતે રાજ્યસભાને લોબી અથવા સેન્ટ્રલ હોલ બનાવી શકાય છે.