નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વર્ષ અગાઉ આજના દિવસે પ્રચંડ બહુમત સાથે દેશની કમાન સંભાળી હતી. બીજેપી મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર ઉત્સવના મૂડમાં છે. દેશભરમાં મોદી સહિત તમામ મંત્રીઓ, સાંસદ અને બીજેપી પાર્ટી સરકારની સિદ્ધિઓ જનતાને જણાવી રહ્યા છે.


બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ ગણાવી હતી. અમિત શાહે કહ્યું કે, મોદી સરકારમાં સાત કરોડ શૌચાલય બનાવવાનું લક્ષ્ય પુરુ કર્યું છે. 55 હજાર કિલોમીટરનો રસ્તો બનાવવાનું  કામ પુરુ કર્યું છે. દેશના તમામ ઘર સુધી વિજળી પહોંચાડવાનું લક્ષ્ય પણ હાંસલ કર્યું છે. 2019 સુધી ચાર કરોડ પરિવાર સુધી વિજળી પહોંચાડવાનું લક્ષ્ય છે.

અમિત શાહે કહ્યું કે, મોદી સરકારે તૃષ્ટીકરણ, જાતિવાદ અને પરિવારવાદને ખત્મ કર્યો. બીજેપીની આ સરકાર ગરીબોને સમર્પિત સરકાર છે. મોદી સૌથી વધુ કામ કરનારા વડાપ્રધાન છે. તેઓ 15-16 કલાક કામ કરે છે. મોદી સરકાર પોતાના વચનો પુરા કરવામાં સફળ રહી છે. મોદી સરકાર ભ્રષ્ટાચાર મુક્ત સરકાર છે. સરકારે ગ્રામીણ વિકાસ પર ધ્યાન આપ્યું છે.

બીજેપી અધ્યક્ષે કહ્યું કે, મોદી સરકાર આવ્યા બાદ દેશમાં અસ્થિરતાનો યુગનો અંત થઇ ગયો. નોટબંધી-જીએસટી દેશની અર્થવ્યવસ્થામાં મૂળભૂત બદલાવ લાવવાનો નિર્ણય હતો. પીઓકેમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક સરકારની ઇચ્છાશક્તિ બતાવે છે. પીએમના કહેવા પર 1.5 કરોડ લોકોને સબસીડી છોડી. સરકારે વન રેન્ક વન પેન્શનની સમસ્યાનો ઉકેલ કર્યો. સોઇલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા. નીમકોટેડ યુરિયાની ચોરી રોકવામાં આવી. આપણે દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયા. વિદેશી મૃદ્રા ભંડાર વધીને 417 મિલિયન ડોલર બની ગયો. અમે પોલિસી પેરાલિસિસને દૂર કરી.

બીજી તરફ મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર કોગ્રેસે સમગ્ર દેશમાં વિશ્વાસઘાત દિવસ ઉજવી રહી છે. કોગ્રેસ આરોપ લગાવ્યો કે મોદી સરકારના ચાર વર્ષ મતલબ વિશ્વાસઘાત. મોદી સરકારમાં દલિતોનું દમન થઇ રહ્યું છે. બોર્ડર પર જવાનો શહિદ થઇ રહ્યા છે. બેન્કમા કૌભાંડ થઇ રહ્યા છે. આ બધુ વિશ્વાસઘાત છે. માયાવતીએ પણ કહ્યું કે, મોદી સરકારમાં તમામ કામ ખોટા થયા જેથી બીજેપીને ઉજવણીનો કોઇ હક નથી. તેમની સરકારમાં તેલનો ભાવ ઐતિહાસિક ટોચ પર પહોંચી ગયો છે.