Arvind Kejriwal On Central Government: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મફત યોજનાઓ મુદ્દે ફરી એકવાર કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, જે પ્રકારે જનતાને આપવામાં આવતી સુવિધાઓનો થોડા દિવસોથી જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આનાથી મનમાં શંકા પેદા થાય છે. આટલો ઉગ્ર વિરોધ શા માટે થઈ રહ્યો છે. હિતની બાબતોનો વિરોધ શા માટે થઈ રહ્યો છે.


સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, "સૈનિકોને પેન્શન આપીને આપણે કોઈ ઉપકાર કરતા નથી. તેઓ તે પેન્શન બિલને ખતમ કરવા માટે અગ્નિવીર લાવ્યા છે. દેશના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કેન્દ્રએ તેમની અગ્નિપથ યોજનાને યોગ્ય ઠેરવી છે. તેઓએ કહ્યું હતું કે તેઓ આમ કરી રહ્યા છે તેથી હવે તેઓએ સંરક્ષણ કર્મચારીઓને પેન્શન ચૂકવવું પડશે નહીં. આઠમું પગાર પંચ બનવાનું હતું, પરંતુ હવે તેઓ કહી રહ્યા છે કે હવે અમે આઠમું પગાર પંચ બનાવીશું નહી કારણ કે અમારી પાસે પૈસા નથી. તેઓ વારંવાર કહે છે કે અમારી પાસે પૈસા નથી, રાજ્યોને આપવામાં આવતા પૈસામાં ઘટાડો કર્યો છે. ટેક્સ કલેક્શન 2014 કરતા ઘણું વધારે છે, પરંતુ તેમની પાસે પૈસા નથી. પૈસા ક્યાં જાય છે?"


"સરકારી પૈસાથી પોતાના મિત્રોનું દેવુ ઓછુ કરી રહ્યા છે


દિલ્હીના સીએમએ કહ્યું કે, "છેલ્લા 75 વર્ષમાં ક્યારેય પણ સરકારે મૂળભૂત ખાદ્યપદાર્થો પર ટેક્સ લગાવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ 1000 કરોડથી વધુ છે. તેઓ હવે કહી રહ્યા છે કે સરકારની તમામ મફત વસ્તુઓ સમાપ્ત થવી જોઈએ, સરકારી શાળાઓ, હોસ્પિટલોમાં ફી લેવી જોઇએ. તેઓ મફત રાશન બંધ કરવાની વાત કરે છે. કેન્દ્રના બધા પૈસા ક્યાં ગયા? તેઓ આ સરકારી પૈસાથી તેમના મિત્રોની લોન માફ કરી રહ્યા છે. તેઓએ તેમના અબજોપતિ મિત્રોના ટેક્સ પણ માફ કર્યો.


મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો


ઉલ્લેખનીય છે કે મફત સુવિધાઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરી હતી જેમાં સરકારી પૈસામાંથી તર્કહીન મફત સુવિધાઓ આપનારા રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન રદ કરવા અને ચૂંટણી ચિહ્નોને  જપ્ત કરવાના નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું, "આ એક ગંભીર મુદ્દો છે. જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓને કહેવાનો અધિકાર છે કે તેઓ ટેક્સ ચૂકવી રહ્યા છે. સરકારી પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે માટે ખર્ચાવા જોઇએ, પૈસાની વહેંચણી થવી જોઇએ નહી.


મફત સુવિધાઓને લઈને આમ આદમી પાર્ટીએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે મફત પાણી, મફત વીજળી અને મફત પરિવહન જેવા ચૂંટણી વચનો 'મફત' નથી, પરંતુ અસમાન સમાજમાં આ યોજનાઓ એકદમ જરૂરી છે. સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશે તમામ પક્ષકારોને તેમની નિવૃત્તિ પહેલા કોર્ટ સમક્ષ નક્કર સૂચનો મૂકવા જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ એનવી રમના 6 ઓગસ્ટે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. કોર્ટે હવે આ મામલે વધુ સુનાવણી માટે 17 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.


આ પહેલા પીએમ મોદીએ પણ ચૂંટણીમાં મફત વસ્તુઓ આપવાના વાયદા માટે રાજકીય પક્ષો પર નિશાન સાધ્યું છે. મંગળવારે જ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે  મફતની સુવિધાઓથી કરદાતાઓનો બોજ વધે છે, દેશને આત્મનિર્ભર બનતા અટકાવે છે અને નવી ટેકનોલોજીમાં રોકાણ અટકાવે છે. મફતની સુવિધાઓ આપવી એ રાષ્ટ્રના હિતમાં નથી. આ પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ પીએમ મોદીના નિવેદન પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપ સામાન્ય લોકોને મફત શિક્ષણ, મફત આરોગ્ય સેવાઓ આપવા માંગતી નથી કારણ કે તેઓ તેમના મિત્રોની લોન માફ કરી રહ્યા છે.