દેશના 8.3 કરોડ ગરીબ પરિવારોને આગામી ત્રણ મહિના સુધી મફતમાં મળશે ગેસ સિલેન્ડરઃ નાણામંત્રી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Mar 2020 06:32 PM (IST)
નાણામંત્રીએ કહ્યું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કામ કરી રહેલા કોરોના વાયરસથી લોકોને બચાવી રહેલા ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફને 50 લાખ રૂપિયાનું ઇન્શોરન્સ કવર આપવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ કોરોનાના વાયરસના દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1.70 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. રાહત પેકેજમાં નરેન્દ્ર મોદીની સરકારે દેશના તમામ ગરીબોની ચિંતા કરી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આગામી ત્રણ મહિના સુધી મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. કેન્દ્ર સરકારની આ યોજનાથી દેશના લગભગ 8.3 કરોડ ગરીબ પરિવારોને સીધો લાભ મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ સ્કીમ હેઠળ લોકોના પૈસા ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યુંકે, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કામ કરી રહેલા કોરોના વાયરસથી લોકોને બચાવી રહેલા ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફને 50 લાખ રૂપિયાનું ઇન્શોરન્સ કવર આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના હેઠળ કોઇ ગરીબ ભૂખ્યો ના રહે તેની વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં 80 કરોડ લાભાર્થીઓને દર મહિને પાંચ કિલો ઘઉં અથવા ચોખા પ્રતિ વ્યક્તિ મફતમાં મળે છે. આગામી ત્રણ મહિના સુધી તેમને વધારાના 5 કિલો પ્રતિ વ્યક્તિ ઘઉં અને ચોખા આપવામાં આવશે. પ્રત્યેક પરિવાર એક કિલો દાળ પણ આપવામાં આવશે.