Land for Job Scam Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નોકરીના બદલામા જમીન 'કૌભાંડ' કેસમાં મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં શુક્રવારે (10 માર્ચ) બિહારના ઘણા શહેરો અને અન્ય ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ અને આરજેડી નેતાઓની ત્રણ પુત્રીઓના ઘર સહિત 24 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.


EDએ કહ્યું હતું કે દરોડામાં 1 કરોડ રૂપિયા રોકડા, 1900 યુએસ ડોલર, લગભગ 540 ગ્રામ સોનું અને 1.5 કિલો સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. ઇડીએ માહિતી આપી હતી કે દક્ષિણ દિલ્હીમાં એક ઘરની તપાસ કરવામાં આવી હતી જ્યાં લાલુ પ્રસાદના પુત્ર અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ હાજર હતા.






 


EDએ શું કહ્યું?


EDના જણાવ્યા અનુસાર, કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે લગભગ 600 કરોડ રૂપિયામાંથી 350 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત ખરીદવામાં આવી હતી અને 250 કરોડ રૂપિયા બેનામી સંપત્તિ દ્વારા રૂટ કરવામાં આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો કે તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ યાદવ દ્વારા ભારતીય રેલ્વેમાં નોકરી આપવાના નામે પટનાના પોશ વિસ્તારોમાં આ મોટાભાગની જમીન ખોટી રીતે હડપી લેવામાં આવી હતી. આજના સમયમાં જમીનની કિંમત 200 કરોડ રૂપિયા છે.


કોના નામે બેનામી પ્રોપર્ટી, શેલ કંપની અને કોને ફાયદો થયો તેની ઓળખ કરવામાં આવી છે. ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં આવેલો બંગલો મેસર્સ એબી એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડના નામે છે, જ્યારે તે વાસ્તવમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને તેમના પરિવાર દ્વારા નિયંત્રિત છે. આ પ્રોપર્ટીની કિંમત કાગળ પર માત્ર 4 લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે, પરંતુ તેની વાસ્તવિક કિંમત 150 કરોડ રૂપિયા છે.


EDએ શું કર્યો દાવો?


EDએ કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જપ્ત કરવામાં આવેલી જમીનના ચાર ટુકડા એવા હતા કે તેને ગ્રુપ ડીની નોકરી મેળવવા માટે 7.5 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. બાદમાં તેને પૂર્વ આરજેડી ધારાસભ્ય અબુ દોજાનાને સાડા ત્રણ કરોડમાં વેચી દેવામાં આવી હતી. આ નાણાં મોટાભાગે આરજેડી નેતા તેજસ્વી યાદવના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા હતા. EDએ દાવો કર્યો હતો કે ઘણા રેલ્વે ઝોનમાં નોકરી મેળવનારા 50 ટકાથી વધુ લોકો લાલુ યાદવના પરિવારના વિધાનસભા ક્ષેત્રના હતા.


શું છે મામલો?


એવો આરોપ છે કે 2004-2009 દરમિયાન ભારતીય રેલ્વેના જુદા જુદા ઝોનમાં ગ્રુપ ડીમાં વિવિધ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી અને તેના બદલામાં તેઓએ તેમની જમીન તત્કાલિન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ અને એકે ઈન્ફોસિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડના પરિવારના સભ્યોને ટ્રાન્સફર કરી હતી.


આરોપ છે કે લાલુ પ્રસાદની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સહિત તેમના પરિવારે આવા ચાર ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલા પ્લોટ મેરિડીયન કન્સ્ટ્રક્શન ઈન્ડિયા લિમિટેડ નામની કંપનીને રૂ.7.5 લાખની કિંમતે વેચ્યા હતા, જ્યારે પ્લોટની બજાર કિંમત રૂ. 3.5 કરોડ હતી. કંપની કથિત રીતે દોજાનાની માલિકીની હતી અને તેનું નિયંત્રણ હતું.