‘ભવિષ્યના યુદ્ધો માટે અત્યારથી જ સાવધાન રહેવું પડશે. સતત વિકસતી વિશ્વ વ્યવસ્થાએ દરેકને ફરીથી વ્યૂહરચના બનાવવાની ફરજ પાડી છે. ઉત્તરીય અને પશ્ચિમી સરહદો તેમજ સમગ્ર દરિયાકિનારા પર સતત નજર રાખવી પડશે’.  રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે નેવીના કમાન્ડરોને આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું  કે આપણે ભવિષ્યના તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે.






રક્ષા મંત્રી રાજનાથ સિંહે 06 માર્ચે ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર આયોજિત નેવલ કમાન્ડર્સની કોન્ફરન્સ દરમિયાન ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાઓની સમીક્ષા કરી હતી. કમાન્ડરોને તેમના સંબોધનમાં રાજનાથ સિંહે સામાજિક અને આર્થિક પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે સુરક્ષિત સરહદોને પ્રથમ આવશ્યકતા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે નવેસરથી જોશ સાથે કામ કરી રહ્યું છે. અમે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ.






'ભારતને વિશ્વની ટોચની આર્થિક શક્તિઓમાં જોવા માંગુ છું'


આર્થિક સમૃદ્ધિ અને સુરક્ષા પરિદ્રશ્ય એકસાથે ચાલે છે તેના પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્ર મુખ્ય ચાલક તરીકે ઉભરી આવ્યું છે, જે અર્થતંત્રને વેગ આપે છે અને દેશના વિકાસને સુનિશ્ચિત કરે છે. તેમણે કહ્યું કે આગામી 5-10 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્ર દ્વારા 100 અબજથી વધુના ઓર્ડર મળવાની અપેક્ષા છે અને તે દેશના આર્થિક વિકાસમાં મુખ્ય ભાગીદાર બનશે. આજે આપણું સંરક્ષણ ક્ષેત્ર રનવે પર છે, ટૂંક સમયમાં જ્યારે તે ટેકઓફ કરશે ત્યારે તે દેશની અર્થવ્યવસ્થાને બદલી નાખશે. જો આપણે અમૃતકાળના અંત સુધીમાં ભારતને વિશ્વની ટોચની આર્થિક શક્તિઓમાં જોવા માંગીએ છીએ તો આપણે સંરક્ષણ મહાસત્તા બનવાની દિશામાં સાહસિક પગલાં ભરવાની જરૂર છે.


'દેશને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવાની જરૂર છે'


રાજનાથે હિંદ મહાસાગર ક્ષેત્રમાં નૌકાદળની વિશ્વસનીય અને જવાબદાર હાજરીનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે નૌકાદળની મિશન આધારિત તૈનાતીએ આ ક્ષેત્રમાં મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના પસંદગીના સુરક્ષા ભાગીદાર તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરી છે. તેમણે ભારત જેવા વિશાળ દેશની સુરક્ષા માટે સંપૂર્ણ આત્મનિર્ભર અને અન્ય પર નિર્ભર ન રહેવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સંરક્ષણમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા સરકાર દ્વારા લેવાયેલા અનેક પગલાંની યાદી આપી જેમાં ચાર સકારાત્મક સ્વદેશીકરણ યાદીની સૂચના, FDI મર્યાદામાં વધારો અને MSME સહિત ભારતીય વિક્રેતાઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું.