નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ છોડવાનો વિચાર કરી રહ્યા છે. જેની અડધી કલાકમાં જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીના ટ્વિટના ફોટો સાથે રાહુલ ગાંધીએ પોતાનું ટ્વિટ કર્યું છે.


પ્રધાનમંત્રી મોદીએ એક ટ્વિટમાં આ વાતની જાણકારી આપી. ટ્વીટમાં તેમણે લખ્યું, આ રવિવારે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને છોડવાનું વિચારી રહ્યો છું. આ સૌને પોસ્ટ કરતો રહીશ. તેમણે પોતાના વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ @narendramodiથી આની જાણકારી આપી છે.


આ અંગે સૂત્રોનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે પણ આ મુદ્દે કોઈપણ માહિતી જાહેર કરવાની ના પાડી. અહીં ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની રાજકીય સફળતામાં સોશિયલ મીડિયાનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયા હતા. યુવાઓમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.


આ અંગે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે પીએમ મોદીને ટ્વીટ કરીને કહ્યું કે, નફરત છોડો સોશિયલ મીડિયા નહીં.

વડાપ્રધાને સાથે એમ પણ કહ્યુ છે કે, સમયસર આપને જાણકારી આપતો રહીશ, ત્યારે જો વાત કરવામાં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયામાં લાખો કરોડો ફોલોઅર્સ છે. જેમાં ટ્વીટર પર 5 કરોડ 30 લાખથી વધુ, ફેસબુક પર 4 કરોડ 45 લાખ, ઈન્સ્ટાગ્રામ પર 3 કરોડ 52 લાખ અને યુટયૂબ પર વડાપ્રધાન મોદીના 45 લાખથી વધુ સબસ્ક્રાઇબર છે.