નવી દિલ્હીઃ ભારતીય રેલવે આજથી 80 નવી ખાસ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. તેના માટે રિઝર્વની પ્રક્રિયા 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. આ ટ્રેન હાલમાં ચાલી રહેલ 230 ટ્રેનો ઉપરાંતની હશે. હાલમાં ચલાવવામાં આવી રહેલ તમામ વિશેષ ટ્રેનોના રૂટ પર નજર રાખામાં આવશે અને જ્યાં પણ ટ્રેનની માગ હશે અને વેટિંગ લિસ્ટ હશે, ત્યાં એક્ચુઅલ ટ્રેન પહેલા એક ક્લોન ટ્રેન ચલાવવામાં આવશે.


પરીક્ષાઓ અથવા આવા જ કોઈ ઉદ્દેશ માટે રાજ્ય સરકારો દ્વારા વિનંગદી કરવા પર ટ્રેનો ચલાવવામાં આવશે. દેશમાં સતત ઝડપથી વધી રહેલ કોરોનાના કેસને ધ્યાનમાં રાખતા રેલવેએ પહેલેથી જ તમામ પેસેન્જર ટ્રેનોને અનિશ્ચિતકાળ સુધી રદ્દ કરી દીધી હતી.

રેલવેએ કહ્યું હતું કે, તમામ નિયમિત પેસેન્જર ટ્રેન આગામી નોટિસ સુધી રદ્દ રહેશે. જોકે, 230 વિશેષ ટ્રેન ચાલતી રહેશે. દેશમાં કોરોના કેસને જોતા રેલવેએ 22 માર્ચથી પેસેન્જર ટ્રેનો, મેલ અને એક્સપ્રેસ ટ્રેનોનું સંજાલન બંધ કરી દીધું હતું.

પ્રવાસ પહેલા જાણીલો આ નિયમો

- આ ટ્રેનોમાં મુસાફરી કરવા માંગતા લોકોએ ઓછામાં ઓછું 90 મિનિટ પહેલા સ્ટેશન ખાતે પહોંચવાનું રહેશે. રેલવે સ્ટેશન પર તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો કોઈ મુસાફરમાં કોરોનાના લક્ષણો જોવા મળશે તો તેને મુસાફરીની પરવાનગી નહીં આપવામાં આવે.
- મુસાફરોઓ પોતાના મોબાઇલમાં 'આરોગ્ય સેતુ' એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે.
- કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ભારતીય રેલવે મુસાફરોને તકિયા, ધાબળા અને પડદા વગેરે નથી આપી રહી. સ્થિતિ સામાન્ય થયા બાદ પણ એસી કોચમાં આ સુવિધા નહીં મળે.
- ભારતીય રેલવે સામાન્ય ટ્રેન સેવા શરૂ થાય પછી પણ આ વસ્તુઓ નહીં આપવાની યોજના પર કામ કરી રહ્યું છે. જોકે, આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કે પછી અનૌપચારિક નિર્ણય નથી લેવામાં આવ્યો.
- આ ઉપરાંત ટ્રેનમાં બનાવવામાં આવેલું ભોજન નહીં મળે. હાલ ફક્ત પાર્સલ જ આપવામાં આવે છે.