H3N2 Influenza Virus Update :  ભારતમાં H3N2 વાયરસના કારણે ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી, આ ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે ગુજરાતમાં 58 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. તેઓ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ સાથે જ આ વાયરસના કારણે ભારતમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે. આ રોગને કારણે આરોગ્ય નિષ્ણાતોએ લોકોને સાવચેતીનાં પગલાં લેવાનું સૂચન કર્યું છે.


માસ્કનો ઉપયોગ કરો


H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી બચવા માટે ડોકટરોએ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ડોક્ટરોનું કહેવું છે કે, વાયરસથી બચવા માટે લોકોએ સતત હાથ ધોતા રહેવું જોઈએ, સાથે જ વર્ષમાં એકવાર ફ્લૂની રસી પણ લેવી જોઈએ.


IDSP-IHIP (ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફર્મેશન પ્લેટફોર્મ) પર ઉપલબ્ધ નવીનતમ ડેટા મુજબ, રાજ્યોએ 9 માર્ચ સુધી H3N2 સહિત વિવિધ પેટા પ્રકારના ઈન્ફલ્યુએન્ઝાના કુલ 3,038 પુષ્ટિ થયેલા કેસ નોંધ્યા છે. જેમાં જાન્યુઆરીમાં 1,245 કેસ, ફેબ્રુઆરીમાં 1,307 અને 9 માર્ચ સુધી 486 કેસ સામેલ છે.


આરોગ્ય નિષ્ણાતોએ શું કહ્યું?


આરોગ્ય નિષ્ણાતોએ લોકોને વાયરસથી બચવા માટે જાહેર પરિવહન, હોસ્પિટલ, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને અન્ય જાહેર વાહનો જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં ફરીથી માસ્ક પહેરવાનું કહ્યું છે. લોકોને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે.


H3N2 અને H1N1 બંને પ્રકારના ઈન્ફલ્યુએન્ઝા E વાયરસ છે, જેને સામાન્ય રીતે ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક સૌથી સામાન્ય લક્ષણોમાં લાંબા સમય સુધી તાવ, ઉધરસ, વહેતું નાક અને શરીરમાં દુખાવોનો સમાવેશ થાય છે. પરંતુ ગંભીર કિસ્સાઓમાં લોકો શ્વાસ લેવામાં તકલીફ અને/અથવા ઘરઘર પણ અનુભવી શકે છે.


વાયરસના કેવા છે લક્ષણો


આ વાયરસ અત્યંત ચેપી છે.ઉધરસ કે છીંક ખાતી વખતે તે અન્યને ચેપ લગાડે છે.ચેપગ્રસ્ત વ્યકિતની અત્યંત નજીક જવાથી પણ ચેપ લાગવાનો ખતરો રહે છે.આ વાયરસથી બચવા તમામ લોકોએ માસ્ક પહેરવો,વારંવાર સાબુથી હાથ ધોવા ઉપરાંત જાહેર સ્થળોએ થૂંકવાનુ ટાળવુ તેમજ ડોકટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવા લેવી નહીં. ઈન્ફલુએન્ઝાના નવા વાયરસના લક્ષણોમાં દર્દીને ઠંડી લાગવી કે પછી કફ આવવો કે તાવ આવવા જેવા લક્ષણ જોવા મળતા હોય છે.કેટલાક કીસ્સામાં ઉબકા આવવા, નાક ગળવુ કે છીંક આવવી અથવા તો ઝાડા થવા  જેવા લક્ષણ પણ જોવા મળતા હોય છે.ખોરાકને ઉતારવામાં તકલીફ થતી હોય એમ જણાય એવા સમયે નજીકના ડોકટરનો સંપર્ક કરવો.


કર્ણાટકમાં કોરોનાનો કહેર


કર્ણાટકમાં કોવિડ કેસને લઈને તેનો આંકડો 500ને પાર કરી ગયો છે. 13 માર્ચ, 2023 સુધીમાં, રાજ્યમાં કોવિડના કુલ 510 સક્રિય કેસ મળી આવ્યા છે અને સોમવારે રાજ્યમાં 62 નવા કેસ નોંધાયા છે. 12 માર્ચે તેનો હકારાત્મકતા દર 4.5% હતો, જ્યારે તેનો એકંદર સાપ્તાહિક હકારાત્મકતા દર 2.60% હતો.