Schools Closed due to H3N2 virus: દેશ કોરોના વાયરસથી બહાર આવી રહ્યો છે કે આ દરમિયાન H3N2 નામના નવા વાયરસે દસ્તક આપી છે. તેના કેસો પણ ઘણા રાજ્યોમાં સતત કેટલાંક અઠવાડિયાથી જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારોએ આનાથી બચવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવાના આદેશ આપ્યા છે. આ સાથે આ વાયરસથી સંબંધિત કોઈપણ દર્દી વિશે માહિતી માંગવામાં આવી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. H3N2 વાયરસના વધતા જતા કેસ ચિંતાનો વિષય છે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ, 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધીમાં, દેશમાં H3N2 ના 451 કેસ નોંધાયા છે.


 





ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ બંધ


પુંડુંચેરીના શિક્ષણ મંત્રી નમસ્સિવમે H3N2 વાયરસ અને ફ્લૂના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરી છે. પુંડુંચેરીમાં 16 માર્ચથી 26 માર્ચ સુધી શાળાઓ બંધ રહેશે. હાલમાં આ નિર્ણય ધોરણ 1 થી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવ્યો છે. બાકીના વર્ગો તેમના સમયપત્રક મુજબ ચાલુ રહેશે.






70 થી વધુ કેસ નોંધાયા હતા


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુંડુંચેરીમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાના 79 કેસ નોંધાયા છે. જો કે, રાજ્યમાં હજુ સુધી કોઈ મૃત્યુ થયું નથી. આરોગ્ય વિભાગે કેસોની વધતી સંખ્યા પર નજર રાખવા હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એલર્ટ કરી દીધા છે.


H3N2 ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો


H3N2 ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળતાં સમગ્ર દેશમાં ચિંતા વધી છે. ઈન્ફલ્યુએન્ઝાના કેસ એવા સમયે નોંધાઇ રહ્યા છે જ્યારે દેશ 3 વર્ષ બાદ કોરોના મહામારીમાંથી બહાર આવ્યો છે. બાળકો અને વૃદ્ધો વધુને વધુ વાયરસનો શિકાર બની રહ્યા છે. ડોકટરોના જણાવ્યા મુજબ, ઈન્ફલ્યુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં સમાન લક્ષણો હોય છે. જેમ કે ઉધરસ, ગળામાં ચેપ, શરીરમાં દુખાવો, નાકમાં પાણી આવવું વગેરે છે.