26 દિવસથી જેલમાં કેદ નૌદીપ કોણ છે? જેની મુક્તિ માટે વિદેશ સુધી ઉઠી માંગ, કોર્ટે સરકારને ફટકારી નોટિસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Feb 2021 03:33 PM (IST)
ખેડૂત આંદોલનમાં ખેડૂતોનો અવાજ બુંલદ કરતી હરિયાણાની નૌદીપ છેલ્લા 26 દિવસથી હરિયાણામાં જેલમાં કેદ છે. કોર્ટે પણ તેની ધરપકડ મામલે હરિયાણા સરકારને નોટિસ ફટકારી છે.
નૌદીપની ધરપકડ બાદ કોર્ટને નૌદીપની કથિત ગેરકાયદેસર ધરપકડના ઇમેલ મળ્યા હતા, જેના પગલે કોર્ટે આ મામલે હરિયાણા સરકારને નોટિસ ફટકારી છે.નૌદીપની મુક્તિ માટે સોશિયલ મીડિયા પર સતત માંગણી થઇ રહી છે. 23 વર્ષિય નૌદીપ ખેડૂત આંદોલનમાં જોડાઇ હતી. નૌદીપ લેબર અને દલિત એક્ટિવિસ્ટ છે. નવદીપ કૌર સામે હત્યા, વસૂલાત, ચોરી, હુલ્લડ, ગેરકાયદેસર ભેગા થવું અને ધમકાવવા જેવા આરોપો લગાવવામાં આવ્યા છે. આ તમામ આરોપસર તેમની ધરપકડ કરાઇ છે. સોનીપત પોલીસના જણાવ્યા મુજબ નૌદીપ પર હત્યાની કોશિશ અને તોફાન માટે ઉશ્કેરવાનો આરોપ છે. તેમની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર આ સામાજિક કાર્યકર નૌદીપને મુક્ત કરવા માટે જોરશોરથી માંગણી થઇ રહી છે. યૂએસના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે પણ ટવિટ કરીને તેમની મુક્તિ માટે માંગણી કરી હતી. જેલમાં નૌદીપ સાથે પોલીસ ગેરવર્તણંક કરતી હોવાનું પણ સામે આવ્યું છે. તેમને જેલમાં ટોર્ચર સાથે યૌન શોષણ થયાની પણ ફરિયાદ ઉઠી છે. પોલીસ કર્મીની નૌદીપ સાથેની બર્બરતાનો વીડિયો પણ સામે આવ્યો હતો. કોણ છે નૌદીપ? નૌદીપ પંજાબના મુફ્તસર સાહિબ જિલ્લા ગંધાર ગામની રહેવાસી છે. તે એક વિદ્યાર્થિની છે. તેમણે 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે એક શ્રમિક પરિવારની દીકરી છે. તે એક ફેક્ટરીમાં કામ કરવાની સાથે શ્રમિક અને ખેડૂતોના હિત માટે કામ કરે છે. નૌદીપ શ્રમિક અધિકારી સંગઠનની સદસ્ય પણ છે. નૌદીપ કુંડલી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં શ્રમિક અધિકાર સંગઠનના સદસ્યો સાથે ધરણા કરી રહી હતી. આ સમયે પોલીસે 12 જાન્યુઆરીએ તેમની ધરપકડ કરી હતી.