રેપ કેસ: જેલમાં જ રહેવું પડશે રામ રહીમને, હાઈકોર્ટે પેરોલની માંગ ફગાવી
abpasmita.in | 27 Aug 2019 05:08 PM (IST)
ડેરા સચ્ચા સૌદાના ચીફ ગુરમીત રામ રહીમની પેરોલ અરજી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચોથી વાર ફગાવી દીધી છે.
ચંદીગઢ: બળાત્કાર અને હત્યાના કેસમાં સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમની પેરોલ અરજી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચોથી વાર ફગાવી દીધી છે. હાઈ કોર્ટે કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં લેતાં રામ રહીમને પેરોલ આપવાનો ઇનકાર કરી દીધો છે. લગભગ 45 મીનિટની ચર્ચા બાદ હાઈકૉર્ટે કહ્યું કે પંચકુલામાં 2017 ઓગસ્ટમાં થયેલા દંગાને ધ્યાનમાં રાખતા ગુરમીત રામ રહીમને પેરોલ આપી શકાય નહીં. પેરોલ અરજી રામ રહીમની પત્ની હરજીત કૉર તરફથી કરવામાં આવી હતી. હરજીત કોરે કહ્યું હતું કે રામ રહીમના માતા બીમાર છે. પરંતુ કોર્ટે અરજીનો જવાબ આપતા કહ્યું કે રામ રહીમની માતાની સારવાર ડૉક્ટરો કરી રહ્યાં છે, તો પેરોલની શું જરૂર? આ પહેલા પણ રામ રહીમ ત્રણવાર અરજી કરી ચુક્યો છે. પ્રથમવાર પુત્રીના લગ્ન માટે, બીજી વખત ખેતી માટે અને ત્રીજી વખત બીમાર માતાની સારવાર માટે પરંતુ હરિયાણા સરકારે રામ રહીમને પેરોલ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.