નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ઘરે જઇને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ અરુણ જેટલીના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પાઠવી હતી. જેટલીના નિધન વખતે પીએમ મોદી ત્રણ દેશોના વિદેશ પ્રવાસે હતા.


પીએમ મોદીએ અરુણ જેટલીની પત્ની સંગીતા જેટલી અને પુત્ર રોહન જેટલી સાથે ફોન પર પણ વાત કરી હતી. આ વાતચીત દરમિયાન જ સંગીતા જેટલીએ પીએમને પોતાનો પ્રવાસ ચાલુ રાખવા કહ્યું હતુ. પીએમ મોદી પહેલા ગૃહમંત્રી અમિત શાહ પણ જેટલીના ઘરે પહોંચ્યા હતા. પીએમ મોદી અને અમિત શાહના પ્રવાસ પહેલા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી.



નોંધનીય છે કે, શનિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું નિધન થઇ ગયુ હતુ. રવિવારે દિલ્હીના નિગમ બોધઘાટ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ સાથે વિપક્ષી નેતાઓ પણ હાજર રહ્યાં હતા.




અરુણ જેટલીની અંતિમ વિધી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે હતા, જેથી અંતિમ વિધીમાં સામેલ થઇ શક્યા ન હતા, જોકે બેહરીનથી જ અરુણ જેટલીને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.