સ્વાસ્થ્ય સંબંધિત અફવાઓ પર અમિત શાહે કહ્યું- હું સંપૂર્ણ સ્વસ્થ છું, કોઇ બીમારી નથી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 May 2020 05:52 PM (IST)
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્ધારા એ વાત ફેલાવવામાં આવી રહી હતીકે અમિત શાહની તબિયત ખરાબ થઇ છે
નવી દિલ્હીઃ પોતાની તબિયત બાબતે ફેલાયેલી અફવાને લઇને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે, હું પૂર્ણ રીતે સ્વસ્થ છું અને મને કોઇ બીમારી નથી. તેમણે કહ્યું કે, જે લોકોએ આ અફવા ફેલાવી છે તેમના પ્રત્યે મારા મનમાં કોઇ દ્રેષ નથી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અંગે સતત સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્ધારા એ વાત ફેલાવવામાં આવી રહી છે કે અમિત શાહની તબિયત ખરાબ થઇ છે. આવી તમામ અફવાઓના જવાબમાં અમિત શાહે એક ટ્વિટ કર્યું છે. અમિત શાહે પોતાના પત્રમાં લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક મિત્રોએ સોશિયલ મીડિયા પર મારા સ્વાસ્થ્ય અંગે ખોટી અફવા ફેલાવી છે. એટલે સુધી કે કેટલાક લોકો મારા મોત માટે ટ્વિટ કરી દુઆ માંગી છે.દેશ હાલમાં કોરોના મહામારી સામે લડી રહ્યો છે અને દેશના ગૃહમંત્રી હોવાના કારણે મોડી રાત સુધી પોતાના કામમાં વ્યસ્ત હોવાના કારણે મેં આ બાબતો પર ધ્યાન આપ્યું નહી. જ્યારે મારા ધ્યાનમાં આવ્યું તો મેં વિચાર્યું કે આ તમામ લોકો પોતાની કાલ્પનિક વિચારનો આનંદ લેતા રહે તે માટે મેં કોઇ સ્પષ્ટતા કરી નહીં. અમિત શાહે કહ્યું કે, પરંતુ મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ અને મારા શુભચિંતકોએ છેલ્લા બે દિવસોથી આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમની ચિંતાને હું નજરઅંદાજ કરી શકું નહી એટલા માટે હું આજે સ્પષ્ટ કરવા માંગું છું કે હું પૂર્ણ રીતે સ્વસ્થ છું અને મને કોઇ બીમારી નથી. કેન્દ્રિય ગૃહમંત્રીએ કહ્યું કે, હિંદુ માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે આ પ્રકારની અફવાઓ સ્વાસ્થ્યને વધુ મજબૂત કરે છે એટલા માટે હું એવા તમામ એ તમામ લોકો પાસે આશા રાખું છું કે તેઓ આ નકામી વાતો છોડીને મને મારું કામ કરવા દેશે અને પોતે પણ પોતાનું કામ કરશે. અમિત શાહે કહ્યું કે, મારા શુભચિંતકો અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો મારી તબિયત પૂછવા અને મારી ચિંતા કરવા બદલ હું આભાર માનું છું. જે લોકોએ આ અફવા ફેલાવી છે તેમના પ્રત્યે મારા મનમાં કોઇ દુર્ભાવના નથી. તમારો પણ આભાર.