ખેડૂત આંદોલન પર વિદેશી હસ્તીઓના ટ્વીટ પર ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કર્યો છે. અમિત શાહે વિદેશ મંત્રાલયના પ્રવક્તાના નિવેદને રીટ્વિટ કરીને કહ્યું કે કોઇ પણ પ્રોપગેન્ડા દેશની એકતાને તોડી નહીં શકે. કોઇ પણ પ્રોપગેન્ડા દેશના વિકાસને અટકાવી નહીં શકે. ભારતની પ્રગતિ માટે તમામ લોકો એક સાથે છે.


દિલ્લીમાં ખેડૂતોના આંદોલનને આજે 71 દિવસ થયા છે. આ દરમિયાન વાતચીત થઇ, હિંસા થઇ, રાજનીતિ થઇ અને કિલ્લાબંધી પણ થઇ અને હવે ટ્વીટર વોર શરૂ થયું છે. 2 મહિનાથી ચાલતા આંદોલનની જેમને કંઇ પડી નહોતી તેઓ હવે આ મામલે સોશિયલ મીડિયામાં શોર મચાવી રહ્યા છે.

વિશ્વની સૌથી અમીર સિંગર મનાતી રિહાનાએ આંદોલન દરમિયાન ઇન્ટરેનેટ સેવા રોકવામાં આવી હોવાના અહેવાલને શેયર કરી સવાલ પૂછ્યો. સાથે જ ગ્રેટા થનબર્ગ, કમલા હૈરિસની ભત્રીજી સહિતની હસ્તીઓએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું.

જો કે ખેડૂતોના આંદોલન અંગે જે લોકો કંઇ જાણતા નથી, તેઓ સલાહ આપવા નીકળી પડ્યા તો વિદેશ મંત્રાલય પણ સામે આવ્યું અને કહ્યું કે પ્રદર્શન વિશે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા તથ્યોની તપાસ અને સમજ હોવી જોઈએ.

વિદેશ મંત્રાલયના આ નિવેદનને રિટ્વિટ કરતા અભિનેતા અક્ષય કુમારે લખ્યું કે ખેડૂતો આપણા દેશનો એક અભિન્ન અંગ છે. આ વિવાદને ઉકેલવા લેવાયેલા પગલાંઓ સ્પષ્ટ છે. ત્યારબાદ અજય દેવગન, કરણ જોહર, એકતા કપૂર જેવી હસ્તીઓ હેશ ટેગ ઇન્ડિયા ટુ ગેથર સાથે ટ્વિટ કરવા લાગ્યા.