ગલવાનમાં ચીનની ઘૂસણખોરી પર કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું- PM મોદી ખૂલીને કરે ચીનની નિંદા, દેશ ઉભો છે તેમની સાથે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jun 2020 03:14 PM (IST)
સિબ્બલે એક સવાલના જવાબમાં એમ પણ કહ્યું કે, મને નથી લાગતું કે કૂટનીતિ અને આર્થિક પગલાના માધ્યમથી આ મામલે સફળતા મળવાની છે.
નવી દિલ્હીઃ ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કર્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, ભારતની એક ઈંચ જમીન પણ ચીનના કબજામાં ન જવી જોઈએ. પોતાના વિસ્તારની રક્ષા કરવા માટે પ્રધાનમંત્રીની સાથે સમગ્ર દેશ ઉભો છે. સિબ્બલે એક સવાલના જવાબમાં એમ પણ કહ્યું કે, મને નથી લાગતું કે કૂટનીતિ અને આર્થિક પગલાના માધ્યમથી આ મામલે સફળતા મળવાની છે. તેમણે કહ્યું કે, હું સૈન્ય કાર્યવાહીનો સંકેત નથી આપી રહ્યો. માત્ર તાત્કાલિક કાર્યવાહીની વાત કરી રહ્યો છું, ફેંસલો સરકારે કરવાનો છે. વીડિયો લિંકના માધ્યમથી મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, "પ્રધાનમંત્રીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે, આપણી સીમામાં કોઈ ઘૂસ્યું નથી કે આપણી કોઈ ચોકી પર કબજો થયો. જ્યારે અનેક રક્ષા વિશેષજ્ઞ ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલી તસવીરોના માધ્યમથી કઈંક અલગ જ કહી રહ્યા છે." સિબ્બલે દાવો કર્યો કે, ચીની સૈનિકોએ ગલવાન ઘાટીના અનેક હિસ્સા પર કબજો કરી લીધો છે. ચીને પૂરી ગલવાન ઘાટી પર દાવો કર્યો હોય તેવું પ્રથમ વખત બન્યું છે. જે સ્થાન પર આપણા જવાનો શહીદ થયા ત્યાં ચીની સૈનિકોએ ટેન્ટ બનાવી લીધા છે અને બીજું નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી ચીન તરફથી આપણા વિસ્તારમાં ઘૂસણખોરીની ખૂલીને નિંદા કેમ નથી કરતા? અમે ઈચ્છીએ છીએ કે પ્રધાનમંત્રી ચીનની આ ઘૂસણખોરીની નિંદા કરે. અમે બધા તેની સાથે છીએ.