PM Modi Interview to PTI: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને ઈન્ટરવ્યુ આપ્યો છે. 9-10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં G-20 દેશોની બેઠક યોજાવા જઈ રહી છે  અને કેન્દ્રએ 18-22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે તેવા સમયે જ તેમણે ઈન્ટરવ્યું આપ્યો છે.


શું કહ્યું પીએમ મોદીએ


ભારતના G20 પ્રમુખપદની ઘણી સકારાત્મક અસરો થઈ છે, જેમાંથી કેટલીક મારા હૃદયની ખૂબ જ નજીક છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PTIને આપેલી એક વિશિષ્ટ મુલાકાતમાં જણાવ્યું હતું.






પીએમ મોદીએ કહ્યું- 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે


વડાપ્રધાને કહ્યું કે, વિશ્વનો જીડીપી-કેન્દ્રિત દૃષ્ટિકોણ હવે માનવ-કેન્દ્રિતમાં બદલાઈ રહ્યો છે. ભારત આમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ પણ વિશ્વના કલ્યાણ માટે માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે. પીએમ મોદીએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની જશે. ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદને રાષ્ટ્રીય જીવનમાં કોઈ સ્થાન નહીં હોય.


'ભારતીયો પાસે મોટી તક છે'


તેમણે કહ્યું કે, G20માં વિશ્વ આપણા શબ્દો અને વિઝનને માત્ર વિચારો તરીકે નહીં, પરંતુ ભવિષ્યના રોડમેપ તરીકે જુએ છે. આજે ભારતીયો પાસે વિકાસનો પાયો નાખવાની મોટી તક છે જે આગામી હજાર વર્ષ સુધી યાદ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે.


તેમણે કહ્યું, "લાંબા સમયથી ભારતને એક અબજ ભૂખ્યા પેટવાળા દેશ તરીકે જોવામાં આવતો હતો, હવે તે એક અબજ મહત્વાકાંક્ષી દિમાગ અને બે અબજ કુશળ હાથ ધરાવતો દેશ છે."






પાકિસ્તાન અને ચીનના વાંધાઓને ફગાવી દીધા


વડાપ્રધાન મોદીએ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં જી-20 બેઠકો યોજવા અંગે પાકિસ્તાન અને ચીનના વાંધાઓને ફગાવી દીધા અને કહ્યું કે દેશના દરેક ભાગમાં બેઠકો યોજવી સ્વાભાવિક છે.






સાયબર ક્રાઈમનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સામે લડવા માટે વૈશ્વિક સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, સાયબર સ્પેસે ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓ અને આતંકવાદ સામેની લડાઈમાં એક સંપૂર્ણપણે નવું પરિમાણ રજૂ કર્યું છે. સાયબર ધમકીઓને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ.


PM મોદીએ ફેક ન્યૂઝ પર શું કહ્યું?


પીએમ મોદીએ કહ્યું કે ફેક ન્યૂઝ અરાજકતા પેદા કરી શકે છે અને ન્યૂઝ મીડિયાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી શકે છે, તેનો ઉપયોગ સમાજમાં અશાંતિ ફેલાવવા માટે થઈ શકે છે. આ ઉપરાંત, લોકશાહી નીતિઓ પર બોલતા, તેમણે કહ્યું કે બેજવાબદાર નાણાકીય નીતિઓ અને લોકવાદની સૌથી વધુ અસર ગરીબ વર્ગ પર પડે છે.