Uddhav Thackeray Removes Eknath Shinde As Shiv Sena Leader: ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેનાના નેતા પદ પરથી હટાવી દીધા છે. શિંદેને લખેલા પત્રમાં શિવસેના પ્રમુખ અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ તેમના પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.


ગુરુવારે લખવામાં આવેલા પત્રમાં લખ્યું હતું કે, "શિંદેએ સ્વેચ્છાએ પાર્ટીનું સભ્યપદ પણ છોડી દીધું છે, તેથી મને શિવસેના પાર્ટી અધ્યક્ષ તરીકે આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને હું તમને પાર્ટી સંગઠનમાં શિવસેનાના નેતાના પદ પરથી હટાવું છું.


ઉલ્લેખનીય છે કે લગભગ બે અઠવાડિયા પહેલા એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો હતો અને ત્યારબાદ ગુરુવારે (30 જૂન) તેમણે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. શિંદેની છાવણીમાં શિવસેનાના 39 ધારાસભ્યો છે અને તેઓ કહે છે કે અસલી શિવસેના તેમની છે. જોકે, શુક્રવારે ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું કે એકનાથ શિંદે શિવસેનાના મુખ્યમંત્રી નથી. હાલની સ્થિતિ અનુસાર ઉદ્ધવ ઠાકરેની છાવણીમાં 16 ધારાસભ્યો છે.


શિંદેએ એબીપી ન્યૂઝને શું કહ્યું?


જ્યારે ABP ન્યૂઝે શિંદેને ઉદ્ધવ ઠાકરેના નિવેદન અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે હું શિવસેના અને ભાજપનો મુખ્યમંત્રી છું. હું જનતાના હૃદયનો મુખ્યમંત્રી છું. હું હવે સ્પષ્ટ રીતે બોલવા માંગતો નથી. હું આગળ વાત કરીશ.


'અમારી પાસે 170 ધારાસભ્યો છે'


એકનાથ શિંદે 4 જુલાઈએ વિધાનસભામાં બહુમત સાબિત કરવાના છે. તેમણે દાવો કર્યો કે અમે વિધાનસભામાં બહુમત સાબિત કરીશું. શિંદેએ કહ્યું, અમારી પાસે 170 ધારાસભ્યો (ભાજપ સહિત) છે અને આ આંકડો વધી રહ્યો છે. વિધાનસભામાં અમારી બહુમતી છે. અમે એવા નિર્ણયો લઈશું જે મહારાષ્ટ્રના હિતોનું રક્ષણ કરે.