સુરતઃ સુરતમાં હવે રત્નકલાકારો 100 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં કરાવી શકશે રેપિડ ટેસ્ટ. ગઈકાલે રત્નકલાકારોના ટેસ્ટને લઈ એ સમયે વિવાદ છેડાયો હતો જ્યારે સુરતના કોવિડ ટેસ્ટિંગ સેંટર પર લખાયું હતું કારખાના અને હીરામાં કામ કરતાં તમામ વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં નહીં આવે.


ABP અસ્મિતાના અહેવાલ બાદ ગઈકાલે પ્રશાસને બેઠક યોજી હતી. જેમાં નિર્ણય કરાયો કે રત્નકલાકારો હવે ખાનગી લેબોરેટરીમાં રેપીડ ટેસ્ટ કરાવી શકશે. ટેસ્ટ માટે લેબોરેટરીને મહાનગરપાલિકા મફતમાં કીટ આપશે. રત્ન કલાકારને ફક્ત લેબોરેટરીને ટોકન ચાર્જ ચૂકવવાનો રહેશે, જે 100 રૂપિયા કરતા પણ ઓછો હશે.

કોઈ કારખાનેદાર એકસાથે પોતાના તમામ કામદારોના ટેસ્ટ કરાવવા માગતા હશે તો મહાનગરપાલિકા પ્રતિ કામદાર 500 રૂપિયાનો ચાર્જ લઈ ટેસ્ટ કરી આપશે. આ સુવિધા રત્નકલાકારો સિવાય અન્ય કારખાનામાં કામ કરતા કામદારોને પણ આપવામા આવશે.

નોંધનીય છે કે, ગઈકાલે સુરત કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 195 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા 77 કેસ નોંધાયા હતા. આ સાથે જ 194 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.