આજે દેશે આઝાદીના 77 વર્ષ પૂર્ણ કર્યા છે. લગભગ 100 વર્ષ સુધી લડ્યા બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને આઝાદ કરવામાં આવ્યો હતો. આ યુદ્ધમાં કરોડો દેશવાસીઓ પોતાની આઝાદી માટે લડ્યા હતા. ઘણા કષ્ટો સહન કર્યા, પરંતુ દેશને ક્યારેય ઝૂકવા દીધો નહીં. જે ઉંમરે લોકો ઘર બાંધવાના સપના જોતા હોય છે, એ સમયે યુવાનોએ છાતીમાં ગોળી ખાધી હતી. ઘણાએ ખુશીથી દેશને નામે પોતાનું આખું જીવનનું બલિદાન આપ્યું હતું.  આજે અમે એવા જ પાંચ યુવા સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે  જણાવીશું, જેમણે ખૂબ જ નાની ઉંમરમાં દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું.




1. મંગલ પાંડેઃ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નગવા ગામમાં જન્મેલા મંગલ પાંડે સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ હીરો છે. મંગલ પાંડેના પિતાનું નામ દિવાકર પાંડે અને માતાનું નામ અભય રાની હતું. 1849ની વાત છે. તે સમયે મંગલની ઉંમર માત્ર 22 વર્ષની હતી. તે સમયે તેઓ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનામાં જોડાઈ ગયા હતા. 


અહીં ગાય અને ડુક્કરની ચરબીવાળી નવી રાઈફલ કારતુસનો ઉપયોગ થવા લાગ્યો. જેના કારણે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોમાં ગુસ્સો વધી ગયો. 9 ફેબ્રુઆરી, 1857ના રોજ, મંગલ પાંડેએ ગાય અને ડુક્કરની ચરબીમાંથી બનાવેલા નવા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. બ્રિટિશ સરકારે તેને અનુશાસનહીન માન્યું. 


29 માર્ચ, 1857ના રોજ, બ્રિટિશ ઓફિસર મેજર હ્યૂસન મંગલ પાંડે પાસેથી તેની રાઈફલ છીનવા લાગ્યા. આ દરમિયાન મંગલ પાંડેએ હ્યૂસની હત્યા કરી હતી. આ સિવાય બ્રિટિશ ઓફિસર લેફ્ટનન્ટ બોબ પણ માર્યા ગયા હતા. આ સાથે મંગલ પાંડેએ અંગ્રેજો સામે યુદ્ધ શરૂ કર્યું. મંગલ પાંડેને 8 એપ્રિલ, 1857ના રોજ માત્ર 30 વર્ષની ઉંમરે અંગ્રેજોને મારવા બદલ ફાંસી આપવામાં આવી હતી. પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ મંગલ પાંડેના મૃત્યુના થોડા સમય પછી શરૂ થયો હતો. જેને 1857નો વિદ્રોહ કહેવામાં આવે છે.




2. ભગત સિંહઃ   28 સપ્ટેમ્બર 1907 ની વાત છે.  પંજાબના લાયલપુર જિલ્લાના બંગામાં કિશન સિંહ અને વિદ્યાવતીના પુત્રનો જન્મ  થયો હતો. બંનેએ પોતાના પુત્રનું નામ ભગત રાખ્યું છે. આ એ જ ભગત સિંહ છે, જેમણે માત્ર 23 વર્ષની ઉંમરમાં દેશની આઝાદી માટે ખુશી ખુશી ફાંસી પર ચડ્યા હતા. 


જલિયાવાલા બાગ હત્યાકાંડે  ભગતસિંહના જીવન પર ઘણી અસર પાડી હતી. આ પછી તેમણે લાહોરના નેશનલ કોલેજનો અભ્યાસ છોડીને નૌજવાન ભારત સભા શરૂ કરી અને આઝાદીની લડાઈમાં ઝંપલાવ્યું. 1922ની ચૌરી ચૌરા કાંડમાં જ્યારે મહાત્મા ગાંધીએ ગ્રામજનોને સાથ આપ્યો ન હતો ત્યારે ભગતસિંહ નિરાશ થયા હતા. ત્યારબાદ તેઓ ચંદ્રશેખર આઝાદના ગદર દળમાં સામેલ થયા હતા. 


આ પછી કાકોરી કાંડમાં રામ પ્રસાદ બિસ્મિલ સહિત ચાર ક્રાંતિકારીઓને ફાંસી અને 16ને આજીવન કેદની સજા થતાં ભગતસિંહ ગુસ્સે થયા હતા. આ પછી તેમણે ચંદ્રશેખર આઝાદના હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનને બદલીને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન કર્યું. તેનો ઉદ્દેશ્ય નવા યુવાનોને સ્વતંત્રતા માટે તૈયાર કરવાનો હતો.


ભગત સિંહે રાજગુરુ સાથે મળીને 1928માં લાહોરમાં સહાયક પોલીસ અધિક્ષક એવા બ્રિટિશ અધિકારી જેપી સાંડર્સની હત્યા કરી હતી. આ પછી ભગત સિંહે ક્રાંતિકારી બટુકેશ્વર દત્ત સાથે મળીને નવી દિલ્હીમાં સ્થિત તત્કાલીન બ્રિટિશ ઈન્ડિયાની સેન્ટ્રલ એસેમ્બલીના સભાગૃહમાં બોમ્બ ફેંકતી વખતે ક્રાંતિકારી નારા લગાવ્યા હતા. આ સાથે આઝાદી માટેના બેનરો પણ લહેરાવવામાં આવ્યા હતા. આ કર્યા બાદ ભગતસિંહ ભાગ્યા ન હતા, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 'લાહોર ષડયંત્ર' માટે તેમના પર કેસ ચલાવવામાં આવ્યો અને 23 માર્ચ, 1931ની રાત્રે તેમને બ્રિટિશ સરકારે ફાંસી આપી દીધી. તે સમયે તેમની ઉંમર માત્ર 23 વર્ષની હતી.




3. ચંદ્રશેખર આઝાદ: ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્ય પ્રદેશના  અલીરાજપુર સ્થિત ભાબરામાં થયો હતો. તેમનું પૂરું નામ ચંદ્રશેખર તિવારી હતું. લોકો તેને આઝાદ પણ કહેતા. પિતાનું નામ સીતારામ તિવારી અને માતાનું નામ જાગરાણી દેવી હતું. 14 વર્ષની ઉંમરે આઝાદ મધ્યપ્રદેશથી બનારસ આવ્યા હતા. અહીંની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. અહીં તેમણે કાનૂન ભંગ ચળવળમાં યોગદાન આપ્યું હતું. 


1920-21માં આઝાદ ગાંધીજીના અસહયોગ આંદોલન સાથે જોડાયા. બાદમાં ક્રાંતિકારી નિર્ણયો જાતે લીધા. 1926માં કાકોરી ટ્રેન કાંડ, પછી વાઈસરોયની ટ્રેનને ઉડાવી દેવાનો પ્રયાસ, લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવા માટે સોન્ડર્સ પર 1928માં ગોળીબાર કર્યો હતો.


આઝાદે હિન્દુસ્તાન સમાજવાદી પ્રજાતંત્ર સભાની પણ રચના કરી હતી. જ્યારે તેઓ જેલમાં ગયા ત્યારે તેણે પોતાનું નામ 'આઝાદ', પિતાનું નામ 'સ્વતંત્રતા' અને 'જેલ'ને નિવાસસ્થાન તરીકે દર્શાવ્યું હતું. 27 ફેબ્રુઆરી 1931ના રોજ તેઓ પ્રયાગરાજના આલ્ફ્રેડ પાર્કમાં તેમના સાથી ક્રાંતિકારીઓ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન સીઆઈડીના એસએસપી નોટ બાબર જીપમાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ દળો તેમની સાથે હતા. ચંદ્રશેખર આઝાદ વિશે કોઈએ માહિતી આપી હતી.


આઝાદને બધી બાજુથી ઘેરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આઝાદે ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. જ્યારે આઝાદ પાસે માત્ર એક જ ગોળી બચી હતી ત્યારે તેણે અંગ્રેજોના હાથે મરવાને બદલે પોતાની જાતે મૃત્યુને ગળે લગાડવું વધુ સારું માન્યું. આઝાદે પોતાને ગોળી મારી અને તેઓ શહીદ થયા. તેઓ શહીદ થયા ત્યારે તેમની ઉંમર 25 વર્ષની હતી.




4. રાજગુરુ: હસતા હસતા ફાંસી પર ચઢનારા યુવા ક્રાંતિકારીઓમાં એક નામ રાજગુરુનું પણ છે. રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ 1908ના રોજ પુણેના ખેડા ગામમાં થયો હતો. તેમનું પૂરું નામ શિવરામ હરિ રાજગુરુ હતું. રાજગુરુ છ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આ પછી રાજગુરુ સંસ્કૃત ભણવા વારાણસી પહોંચ્યા. અહીં તેઓ ચંદ્રશેખર આઝાદના હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા. રાજગુરુ બ્રિટિશ ઓફિસર સોન્ડર્સની હત્યામાં પણ સામેલ હતા. રાજગુરુએ  એસેંમ્બલીમાં બોમ્બ બ્લાસ્ટમાં પણ ભાગ લીધો હતો. 23 માર્ચ 1931ના રોજ 23 વર્ષની વયે રાજગુરુને ભગતસિંહ અને સુખદેવની સાથે ફાંસી આપવામાં આવી હતી.




5. સુખદેવઃ   પંજાબના લુધિયાણા શહેરમાં સુખદેવ થાપરનો જન્મ 15 મે 1907ના રોજ  થયો હતો. સુખદેવના પિતા રામલાલ થાપર અને માતાનું નામ રલ્લી દેવી હતું. સુખદેવના જન્મના ત્રણ મહિના પહેલા જ તેમના પિતાનું અવસાન થયું હતું. આ પછી તેમનો ઉછેર તેમના કાકા અચિંતરામ દ્વારા થયો હતો. સુખદેવ લાલા લજપત રાયથી ખૂબ પ્રભાવિત હતા. તેમના દ્વારા જ તેઓ ચંદ્રશેખર આઝાદની ટીમમાં જોડાયા હતા.


જ્યારે ચંદ્રશેખરે લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવાની યોજના બનાવી ત્યારે સુખદેવ પણ તેમની સાથે જોડાયા. તેમણે બ્રિટિશ અધિકારી સોન્ડર્સને મોતને ઘાટ ઉતાર્યો.  જેલમાં રહીને પણ સુખદેવે રાજકીય કેદીઓ સાથે  કરવામાં આવતા વ્યવહાર વિરુદ્ધ  આંદોલન ચલાવ્યું હતું. 23 માર્ચ, 1931ના રોજ ભગત સિંહ અને રાજગુરુની સાથે સુખદેવને પણ ફાંસી આપવામાં આવી હતી. ફાંસી વખતે સુખદેવની ઉંમર પણ માત્ર 23 વર્ષ હતી.