નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના લખનઉમાં ચાલી રહેલા પાંચ દિવસીય ડિફેન્સ એક્સપો 2020ના બીજા દિવસે રક્ષામંત્રી રાજનાથ સિંહે અને મેડાગાસ્કરના રક્ષામંત્રી લેફ્ટિનેન્ટ જનરલ આર રિચર્ડ સાથે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. જેમાં ભારત અને મેડાગાસ્કર વચ્ચે સમુદ્રી સુરક્ષા ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી.


રક્ષામંત્રી રાજનાથ સિંહે સમુદ્રી સુરક્ષા સહયોગ વધારવા પર જોર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “બન્ને દેશની સમુદ્રી સીમા સાથે જોડાયેલા હોવાથી બન્નેની જવાબદારી બને છે કે સુરક્ષિત માહોલ સુનિશ્ચિત કરે. જેનાથી વેપાર સંબંધિત ગતિવિધિઓ સુચારું ઢંગથી ચાલી શકે.”

મેડાગાસ્કરના રક્ષામંત્રી લેફ્ટિનેન્ટ જનરલ આર રિચર્ડે કહ્યું કે, હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષાનો માહોલ બનાવી રાખવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમણે ચક્રવાતી વાવાઝોડા ડિયાને દરમિયાન ભારતીય નૌસેના દ્રારા કરવામાં આવેલી મદદ માટે આભાર વ્યક્ત કર્યો. રિચર્ડે રાજનાથ સિંહને 26 જૂનના રોજ મેડાગાસ્કરના સ્વંત્રતા દિવસ સમારોહમાં આવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.

ગત વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરેલી યાત્રાનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું કે, આ ઐતિહાસિક યાત્રાથી બન્ને દેશો વચ્ચે દ્વીપક્ષીય સંબંધ વધુ મજબૂત થયા છે. તે દરમિયાન થયેલી સમજૂતીથી બન્ને દેશો વચ્ચે રક્ષા સહયોગ વધારવા પર ફ્રેમવર્ક તૈયાર થઈ છે.