નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના આજે પ્રચાર પડઘમ શાંત થયા છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પાર્ટીઓએ પૂરી તાકાત લગાવી દીધી હતી. દિલ્હીના રસ્તાઓ પર રોડ શો, જનસભા, ભાષણના માધ્યમથી નેતાઓ પ્રચાર કરતા જોવા મળ્યા હતા.


ભારતીય જનતા પાર્ટી તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ,લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાન, સની દેઓલ અને મનોજ તિવારી સહિતના નેતાઓ ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. કૉંગ્રેસના કોઈ મોટા નેતા અંતિમ દિવસના ચૂંટણી પ્રચારમાં જોવા નહોતા મળ્યા.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ નિયમો અનુસાર હવે નેતાઓ ચૂંટણી સુધી કોઈપણ પ્રકારની રેલી, જનસભા અથવા સાર્વજનિક મંચ પરથી ભાષણ નહી કરી શકે. નેતાઓ ઘરે-ઘરે જઈને લોકોને મતદાનની અપીલ કરી શકે છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીના મતદાન યોજાશે. જેને લઈને 2689 સ્થળો પર 13750 મતદાન કેંદ્ર બનાવવામાં આવ્યા છે. ચૂંટણી કરાવવા માટે ચૂંટણીપંચ આશરે 70 કરોડનો ખર્ચ કરશે. 8 ફેબ્રુઆરીના સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. 11 ફેબ્રુઆરીના પરિણામ જાહેર થશે.