ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે થઈ વાતચીત, તણાવ ઓછો કરવા પર બન્ને દેશ સહમત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Jun 2020 06:05 PM (IST)
બન્ને પક્ષ એ વાત પર સહમત થયા છે કે, ભારત-ચીન વચ્ચે સૈન્ય લેવલની જે બેઠક મળી હતી તેમાં થયેલી ચર્ચાના આધાર પર આગળ વધવામાં આવે.
નવી દિલ્હી: ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ અને સરહદ વિવાદને લઈને વાતચીત થઈ હતી. જાણકારી પ્રમાણે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારત-ચીન સીમા વિવાદ પર ચર્ચા કરી. હવે એવા અહેવાલ છે કે, બન્ને દેશો વચ્ચે સરહદ પર તણાવ ઓછો કરવા પર સહમતી થઈ છે. ચીનના વિદેશ મંત્રાલયનું આ વાતચીત બાદ નિવેદન આવ્યું છે કે, સરહદ પર તણાવ ઓછો કરવા માટે બન્ને દેશો વચ્ચે સહમતિ થઈ છે. આ અહેવાલ ચીન તરફથી આવ્યા છે. ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. બન્ને પક્ષ એ વાત પર સહમત થયા છે કે, ભારત-ચીન વચ્ચે સૈન્ય લેવલની જે બેઠક મળી હતી તેમાં થયેલી ચર્ચાના આધાર પર આગળ વધવામાં આવે. આ પહેલા આજે પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત શાંતી ઈચ્છે છે અને પોતાના પાડોશીઓ સાથે હંમેશા મિત્રતા અને સહયોગનો વ્યવહાર રાખ્યો છે, પરંતુ જો ભારતની અખંડિતા અને સંપ્રભુતાની વાત આવશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. આ પહેલા આજે બપોરે 12 વાગ્યાની આસપાસ અહેવાલ આવ્યા હતા કે, ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરની વાતચીત રોકી દીધી છે. રક્ષામંત્રીએ નિયંત્રણ રેખા પર સ્થિતિની સમીક્ષા કરી છે. સાથે જ સેનાની એલએસી પર દેખરેખ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.