Defence Minister Rajnath Singh : ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં અવારનવાર સંઘર્ષ જોવા મળે છે અને તાજેતરમાં ભારતના સંરક્ષણ પ્રધાને તેમના ચીની સમકક્ષ સાથે હાથ ન મિલાવીને આ ચર્ચાને ફરી એકવાર વધુ તીવ્ર બનાવી છે. હકીકતમાં, ભારતના સંરક્ષણ પ્રધાને અન્ય તમામ સમકક્ષો સાથે ઉષ્માપૂર્વક હાથ મિલાવ્યો હતો, પરંતુ ચીનના પ્રધાન લી શાંગફુ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. જોકે ચીનના સંરક્ષણ પ્રધાને હાથ ન મિલાવવાની ઘટના છતાં ભારત સાથેના સંબંધોને સામાન્ય ગણાવ્યા છે અને ભારત સાથે 'વ્યાપક, લાંબા ગાળાના અને વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્ય'ની હિમાયત કરી છે.


શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંરક્ષણ મંત્રીઓની બેઠકની બાજુમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથેની દ્વિપક્ષીય બેઠકમાં લી શાંગફુએ કહ્યું હતું કે, મુખ્ય પડોશીઓ અને મહત્વપૂર્ણ વિકાસશીલ દેશો તરીકે, ચીન અને ભારત મતભેદો કરતાં વધુ સામાન્ય હિતો ધરાવે છે. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધો અને એકબીજાના વિકાસને વ્યાપક, લાંબા ગાળાના અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. તેવી જ રીતે વિશ્વ અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સંયુક્ત રીતે શાણપણ અને શક્તિનું યોગદાન આપવું જોઈએ.


નોંધપાત્ર છે કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના ચીની સમકક્ષ સાથે તેમની દ્વિપક્ષીય બેઠક પહેલાં લી સાથે હાથ મિલાવ્યનું ટાળ્યું હતું. જ્યારે તેમણે દ્વિપક્ષીય બેઠક પહેલાં તેમના તજાકિસ્તાન, ઈરાન અને કઝાકિસતાનના સમકક્ષો સાથે હાથ મિલાવ્યા હતા. ચાઈના મિલિટરી ઓનલાઈનના અહેવાલ મુજબ લીએ કહ્યું હતું કે, હાલમાં ચીન-ભારત સરહદ પર સ્થિતિ સામાન્ય રીતે સ્થિર છે અને બંને પક્ષોએ સૈન્ય અને રાજદ્વારી માધ્યમો દ્વારા વાતચીત જાળવી રાખી છે.


દ્વિપક્ષીય બેઠકની શરૂઆત પહેલા જ ચીને બંને દેશોની સેનાઓ વચ્ચે ફરી સહયોગ શરૂ કરવાનો નવો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ચીનના આ પ્રસ્તાવને એમ કહીને ફગાવી દેવામાં આવ્યો હતો કે જ્યારે સરહદની સ્થિતિ શાંતિપૂર્ણ હશે ત્યારે જ આ શક્ય બનશે. ચીનના સંરક્ષણ પ્રધાન સરહદ વિવાદને બાજુ પર રાખીને બંને દેશો વચ્ચે નવી શરૂઆતની વાત કરી રહ્યા હતા. જ્યારે રાજનાથે સ્પષ્ટ કર્યું કે આગળ વધતા પહેલા સરહદ પર સ્થિતિ સામાન્ય હોવી જોઈએ. જો સંબંધો બગડ્યા છે તો તેના માટે માત્ર ચીન જ જવાબદાર છે. રાજનાથ સિંહે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોનો વિકાસ સરહદો પર શાંતિના વ્યાપ પર આધારિત છે.


તેમણે કહ્યું હતું કે, LAC પરના તમામ મુદ્દાઓને હાલના દ્વિપક્ષીય કરારો અને પ્રતિબદ્ધતાઓ અનુસાર ઉકેલવાની જરૂર છે. રાજનાથ સિંહે પુનરોચ્ચાર કર્યો હતો કે હાલના કરારોના ઉલ્લંઘનથી દ્વિપક્ષીય સંબંધોનો સંપૂર્ણ આધાર નાશ પામ્યો છે અને સરહદ પર સૈનિકોને છૂટા કરવાનું તાર્કિક રીતે અનુસરવામાં આવશે. ભારત, 2023 માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના અધ્યક્ષ તરીકે, 28 એપ્રિલ 2023 ના રોજ નવી દિલ્હીમાં SCO સંરક્ષણ મંત્રીઓની બેઠકનું આયોજન કરશે.