India Corona Cases Today:  દેશમાં કોરોના સંક્રમણ બમણી ઝડપે વધી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન દરરોજ સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે બમણી થઈ ગઈ છે. શુક્રવારે દેશમાં કોરોનાના 3,095 નવા કેસ નોંધાયા છે. આ સતત બીજો દિવસ છે જ્યારે એક દિવસમાં નોંધાયેલા નવા કેસની સંખ્યા ત્રણ હજારને વટાવી ગઈ છે.


પાંચ સંક્રમિતોના મોત


મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત પણ થયા છે. જેમાં ગોવા-ગુજરાતમાં એક-એક અને કેરળમાં ત્રણ દર્દીના મોતનો સમાવેશ થાય છે. આ સાથે અત્યાર સુધીમાં 5.30 લાખ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. દૈનિક પોઝિટિવિટી 2.61 ટકા નોંધાઈ હતી, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી 1.91 ટકા નોંધાઈ હતી. દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 4.47 કરોડ (4,47,15,786) થઈ ગયા છે.


આ પહેલા ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે દેશમાં ત્રણ હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, જે છેલ્લા છ મહિનામાં પ્રથમ વખત બન્યું છે. ગયા સપ્તાહ સુધી દેશમાં દરરોજ સરેરાશ 1,500 લોકો સંક્રમિત થઈ રહ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર, એક દિવસમાં કોરોના વાયરસના 3,016 કેસ નોંધાયા છે. અગાઉ 2 ઓક્ટોબર 2022ના રોજ કોરોનાના 3,375 કેસ નોંધાયા હતા. આ સિવાય 1,396 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. એક દિવસ પહેલા સક્રિય કેસ 13,509 હતા, જે હવે વધીને 15,208 થઈ ગયા છે.






ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના 381 નવા કેસ નોંધાયા છે. જ્યારે 269 દર્દીઓએ કોરોનાના મ્હાત આપી છે.  અત્યાર સુધીમાં રાજ્યમાં 12,68,563 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. જો આપણ શહેર પ્રમાણે કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા  24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 123 સંક્રમિત કેસ નોંધાયા છે જ્યાકે સુરતમાં 32, રાજકોટમાં 23, મોરબીમાં 35, વડોદરામાં 38, જૂનગાઢમાં 2, મહેસાણામાં 25, અમરેલીમાં 7, કચ્છમાં 2, બનાસકાંઠામાં 3, આણંદમાં 9, ગાંધીનગરમાં 3, સાબરકાંઠામાં 11, વલસાડમાં 4, જામનગરમાં 2, પોરબંદરમાં 3, સુરેન્દ્રનગરમાં 2, ભરૂચ 8, છોટાઉદેપુરમાં 3, પાટણમાં 1, નવસારી 5 કેસ, દાહોદ 1 અને મહીસાગરમાં 1 કેસ નોંધાયો છે.


નેપાળ જવા માટે માસ્ક ફરજિયાત


 રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં એક ભારતીય પોઝિટિવ આવ્યા બાદ નેપાળે ફરીથી માસ્ક ફરજિયાત બનાવ્યા છે. માસ્ક વગર ઝુલાઘાટ થઈને નેપાળ જઈ રહેલા લોકોને પરત કરવામાં આવશે.


ટીવી અભિનેત્રી માહી વિજ કોરોના સંક્રમિત


પ્રખ્યાત ટીવી અભિનેત્રી માહી વિજ કોરોના સંક્રમિત થઈ ગઈ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરતા આ માહિતી આપી હતી.માહીએ કહ્યું, મને કોવિડ થયો છે. પહેલા મને તાવ અને શરદી હતી પછી બધા મને કહેતા હતા કે ટેસ્ટ ના કરાવો પણ મેં ટેસ્ટ કરાવ્યો અને હવે મને ચેપ લાગ્યો છે.