નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 77 લાખને પાર પહોંચી ગઈ છે. જો કે રાહતની વાત એ છે કે, તેમાંથી 68 લાખ 74 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 7 લાખ 15 હજાર પર આવી ગઈ છે. અત્યાર સુધી એક લાખ 16 હજાર 616 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 55,839 નવા કોરોનાના કેસ નોંધાયા હતા અને 702 દર્દીઓના મૃત્યુ થયા હતા. છેલ્લા 24 કલાકમાં 79,415 દર્દીઓ સ્વસ્થ થયા હતા. અમેરિકા બાદ સૌથી વધુ કેસ અને મોતના આંકડા ભારતમાં વધી રહ્યાં છે.
એક્ટિવ કેસની સરખામણીએ આઠ ગણી વધુ રિકવરી

દેશમાં સક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં રિકવર થયેલા લોકોની સંખ્યા 8 ગણી વધારે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુ દર અને રિકવરી રેટની ટકાવારી સૌથી વધારે છે. ICMR અનુસાર, 21 ઓક્ટોબર સુધી કોરોના વાયરસના કુલ 9 કરોડ 86 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂકયા છે, તેમાંથી 14.69 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે બુધવારે કરવામાં આવ્યું હતું. પોઝિટિવિટી રેટ પાંચ ટકાની આસપાસ છે.

રાહતની વાત એ છે કે, દેશમાં મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો આવી રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.51 ટકા થઈ ગયો છે. ભારતમાં મૃત્યુ દર દુનિયાના દેશો કરતા સૌથી ઓછો છે. તે સિવાય એક્ટિવ કેસ 10 ટકા છે અને રિકવરી રેટ 89 ટકા છે.

દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. ભારત એક્ટિવ કેસ મામલે દુનિયામાં બીજા ક્રમે છે અને કોરોના કેસના હિસાબે પણ બીજા ક્રમે છે.