નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર આવી ગઈ છે અને કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. 172 દિવસ બાદ પ્રથમ વખત રેકોર્ડ 72 હજારથી વધારે નવા કોરોના કેસ આવ્યા છે. સતત આઠમાં દિવસે 50 હજારથી વધારે કોરોનાના કેસ આવ્યા છે. એટલું જ નહીં 5  ડિસેમ્બર બાદ પ્રથમ વખત એક દિવસમાં 450થી વધારે સંક્રમિતોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, વિતેલા 24 કલાકમાં 72330 નવા કોરોનાના કેસ આવ્યા અને 459 લોકોના મોત થયા છે. જોકે 40,382 લોકો ઠીક પણ થયા છે. આ પહેલા 10 ઓક્ટોબરના રોજ 74,383  કેસ આવ્યા હતા.


એક સમય હતો જ્યારે દેશમાં કોરોનાના કેસની સંખ્યા ઘટવા લાગી હતી. આ વર્ષે 1લી ફેબ્રુઆરીના રોજ 8635 નવા કોરોનાના કેસ આવ્યા હતા. એક દિવસમાં કોરોનાના કેસની આ સંખ્યા આ વર્ષે સૌથી ઓછી હતી. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 24 કરોડ 47 લાખ 98 હજાર 621 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 11 લાખ 25 હજાર 681 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા.


આજે દેશમાં કોરોનાની સ્થિતિ


કુલ કેસ-  એક કરોડ 22 લાખ 21 હજાર 665


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 14 લાખ 74 હજાર 683


કુલ એક્ટિવ કેસ - પાંચ લાખ 84 હજાર 55


કુલ મોત - એક લાખ 62 હજાર 927


કુલ રસીકરણ - 6 કરોડ 51 લાખ 17 હજાર 896 ડીઝ આપવામાં આવ્યા.


મહારાષ્ટ્રમાં ગઈકાલે 227 લોકોના મોત


મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળ જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોના સંક્રમણના 39544 નવા કેસ આવ્યા છે. દરમિયાન 227 લોકોના મોત થયા છે. 24 કલાકમાં 23600 લોકો સાજા થયા છે. અહીં કુલ આંક 28,12,980 થયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ચપેટમાં આવ્યા બાદ કુલ 54649 લોકોના મોત થયા છે.


સાડા છ કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. 30 માર્ચ સુધીમાં દેશભરમાં 6 કરોડ 51 લાખ 17 હજાર 896 લોકોનો કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીનો બીજો ડોઝ આપવાનું અભિયાન 13 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે.


રિકવરી રેટના મામલે ભારતનો નંબર અમેરિકા બાદ આવે છે. જ્યારે મોતના મામલે અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકો બાદ ભારત ચોથા નંબર પર છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 4.55 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત 5માં સ્થાન પર છે.