નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાના કેસમાં થઈ રહેલો વધારો અવિરત ચાલુ છે અને વિશ્વમાં કોરોના સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો હોય તેવા દેશોમાં હવે ભારતનો પણ સમાવેશ થઈ ગયો છે ત્યારે કોરોના મુદ્દે ભારત માટે રાહતના સમાચાર છે. ભારતનાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો આંકડો પણ વધ્યો છે અને શનિવારે એક જ દિવસમાં કોરોનાના 59,543 દર્દી સાજા થયા હતા અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.


કેન્દ્ર સરકારે આપેલી માહિતી પ્રમાણે, ભારતે એક દિવસમાં કોરોના માટે 10 લાખથી વધુ સેમ્પલના ટેસ્ટિંગનું સિમાચિહ્ન સર કર્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 3.44 કરોડથી વધુ સેમ્પલ્સના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, રાજ્યોમાં કોરોનાના ટેસ્ટિંગમાં વેગ આવવાથી કોરોનાનો પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે. દેશમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ જે વિક્રમી ગતિએ વધી રહ્યું છે તેની સરખામણીમાં પોઝિટિવિટી રેટમાં શરૂઆતમાં વધારો નોંધાયો હતો, પરંતુ પાછળથી આ દર ઘટવા લાગ્યો છે.

આઈસીએમઆરે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાની તપાસ માટે સરેરાશ દૈનિક 8.89 લાખથી વધુ ટેસ્ટ થયા હતા. શુક્રવારે એક જ દિવસમાં કુલ 10,23,836 સેમ્પલ્સના ટેસ્ટ કરાયા હતા. 21મી ઑગસ્ટ સુધીમાં દેશમાં કોરોનાની તપાસ માટે 3,44,91,073 સેમ્પલ્સના ટેસ્ટ થયા છે. ભારતમાં પ્રતિ એક લાખની વસતીએ 74.7 લોકોના ટેસ્ટિંગનો દર છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી કરાયેલા 14 લોકોના ટેસ્ટિંગ કરતાં ઘણો ઊંચો છે.