નવી દિલ્હીઃ ભારતના એરફોર્સના ગુમ પાયલટ પાકિસ્તાન હોવાની પુષ્ટી થઇ ગઇ છે. સાથે ભારતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, તે એરફોર્સના પાયલટને જલદી સુરક્ષિત પાછો સોંપે. ભારતે પાકિસ્તાનને ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને એ સુનિશ્વિત કરવા કહ્યું છે કે ભારતીય પાયલટને પાકિસ્તાનની કસ્ટડીમાં કોઇ નુકસાન ના પહોંચે. એરસ્ટ્રાઇકથી ડરેલા પાકિસ્તાને એલઓસીની અંદર આવવાનો પ્રયાસ કર્યો હતો જેને ઇન્ડિયન એરફોર્સે નિષ્ફળ બનાવ્યો હતો. પરંતુ આ સંઘર્ષ દરમિયાન એક ભારતીય પાયલટ પાકિસ્તાનના ચંગુલમાં ફસાઇ ગયો હતો. જેની સાથે મારપીટ કર્યાની તસવીરો પણ સામે આવી રહી છે.  સોશિયલ મીડિયામાં પાયલટ સાથે મારપીટ અને અભદ્રતાના વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા જેનો ભારત સરકારે વિરોધ કર્યો છે.


એટલુ જ નહી ભારતે પાકિસ્તાની ડેપ્યુટી હાઇ- કમિશનર સૈયદ હૈદર શાહને એમ પણ કહ્યું હતું કે, ભારત પાકિસ્તાન તરફથી ઇન્ડિયન એરફોર્સના ઇજાગ્રસ્ત પાયલટને ઇન્ટરનેશલ નિયમોમાં ઉલ્લંઘન કરીને અશોભનીય રીતે બતાવવાની નિંદા કરે છે. જ્યારે પાકિસ્તાની સૈન્યએ પોતાના નિવેદનને લઇને ફેરવી તોડ્યુ હતું. પાકિસ્તાને કહ્યું  કે, તેણે ફક્ત એક ભારતીય પાયલટની ધરપકડ કરી હતી. આ અગાઉ પાકિસ્તાને દાવો કર્યો હતો કે ઇન્ડિયન એરફોર્સના બે પાયલટની ધરપકડ કરી છે. પાકિસ્તાની સૈન્યા પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે પાકિસ્તાની સૈન્યની કસ્ટડીમાં ફક્ત એક ઇન્ડિયન પાયલટ છે. વિંગ કમાન્ડર સાથે સૈન્ય આચારનીતિના માપદંડો પ્રમાણે વર્તન કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે આજે પાકિસ્તાની એરફોર્સે જમ્મુ કાશ્મીરના પૂંછ અને રાજૌરી સેક્ટરમાં ભારતીય હવાઇ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. જેના જવાબમાં ભારતે એક પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યું હતું. આ સંઘર્ષમાં ઇન્ડિયન એરફોર્સેનું એક મિગ-21 તૂટી પડ્યું હતું અને પાયલટ ગુમ થઇ ગયો હતો.